અમદાવાદ-

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૬ ઓગસ્ટે ગુજકેટની પરીક્ષા લેવાશે અને તેના માટેની તૈયારીઓ પણ કરી દેવાઈ છે. રાજ્યના ૧.૧૭ લાખ વિદ્યાર્થીઓ ૩૪ ઝોનની ૫૭૪ બિલ્ડિંગના ૫૯૩૨ બ્લોકમાં ગુજકેટની પરીક્ષા આપશે. ગુજકેટ માટે એક વર્ગખંડમાં મહત્તમ ૨૦ વિદ્યાર્થીઓ બેસાડવામાં આવશે. ગુજકેટ આપનારા વિદ્યાર્થીઓમાં સૌથી વધુ ગુજરાતી માધ્યમના છે. કુલ ૧.૧૭ લાખ વિદ્યાર્થીઓ પૈકી ૮૦ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમના નોંધાયા છે. ગુજકેટને લઈને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે ૪ ઓગસ્ટથી કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં આવેલી ઈજનેરી અને ફાર્મસી કોલેજાેમાં પ્રવેશ મેળવવા માટે ગુજકેટની પરીક્ષા લેવાશે. ૬ ઓગસ્ટે લેવાનારી ગુજકેટ માટે બોર્ડે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. આ પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાં ૩૪ ઝોન નક્કી કરવામાં આવ્યા છે. આ ઝોનમાં ૫૭૪ બિલ્ડિંગમાં ગુજકેટ લેવાનું આયોજન કરાયું છે. ગેરરીતિ ડામવા માટે દરેક કેંદ્રો પર તકેદારીના ભાગરૂપે ઝ્રઝ્ર્‌ફની વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજકેટ માટે સમગ્ર રાજ્યમાં ૩૪ કેંદ્રો પર ૫૭૪ બિલ્ડિંગ નક્કી કરાયા છે. જેમાં ૫૯૩૨ બ્લોકમાં ૧,૧૭,૩૧૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગુજકેટ માટે નોંધાયેલા વિદ્યાર્થીઓ પૈકી સૌથી વધુ ગુજરાતી માધ્યમના ૮૦,૬૭૦ વિદ્યાર્થીઓ અને હિંદી માધ્યમના ૧,૦૭૫ વિદ્યાર્થીઓ નોંધાયા છે. પરીક્ષા માટે નોંધાયેલા વિદ્યાર્થીઓમાં છોકરાઓની સંખ્યા ૭૦,૫૫૪ છે જ્યારે છોકરીઓની સંખ્યા ૪૬,૭૬૨ છે. પરીક્ષાને લઈને બોર્ડે તમામ તૈયારી પૂર્ણ કરી દીધી હોવાની માહિતી મળી છે. સમગ્ર રાજ્યમાંથી ગુજકેટના ૧.૧૭ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે ત્યારે તેમાંથી સૌથી વધુ સુરતના છે. સુરતમાંથી ગુજકેટ માટે ૧૫,૦૩૭ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે. જ્યારે અમદાવાદ શહેરમાંથી ૯,૭૫૩ અને અમદાવાદ ગ્રામ્યમાંથી ૫,૪૯૧ વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ ઉપરાંત ભાવનગરમાંથી ૫,૧૭૮, રાજકોટમાંથી ૮,૩૮૦, વડોદરામાંથી ૭,૨૬૫, ગાંધીનગરમાંથી ૫,૪૭૨ વિદ્યાર્થીઓ નોંધાયા છે. પાલનપુર, આણંદ, મહેસાણા, નવસારી જિલ્લામાંથી પણ ૪ હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ ગુજકેટ આપવાના હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.