રાજકોટ, રાજકોટમાં અઠવાડિયામાં ફરી સિઝનલ રોગચાળાના દર્દી વધ્યા છે. જેમાં એક સપ્તાહમાં ઝાડા–ઉલટીના ૧૩૯ અને શરદી-ઉધરસના ૨૧૦ દર્દીઓ નોંધાયા છે. જયારે તાવના કેસ ૮૪ કેસ દાખલ થયા છે. ડેંગ્યુના ૮, મેલેરીયાના ૪ અને ચિકનગુનિયાના ૪ કેસ નોંધાયો છે.આ આંકડા તારીખ ૨૫ એપ્રિલથી ૧ મે સુધીના છે જે મનપા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે.આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વાહક નિયંત્રણની કામગીરી હેઠળ એક અઠવાડિયામાં પોરાનાશક કામગીરી હેઠળ ૧૭,૧૫૦ ઘરોમાં પોરાનાશક કામગીરી કરી છે અને ૧૯૪ ઘરોમાં ફોગિંગ કામગીરી કરી છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વ્હિકલ માઉન્ટેન ફોગિંગ મશીન ફોગિંગ કામગીરી કરવામાં આવે છે.

ડેન્‍ગ્‍યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેક્સ, ઔદ્યોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જાેવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ અંગે નોટિસ અને વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવી છે.