ગાંધીનગર,તા.૨૪ 

કોરોનાની મહામારીના કારણે હાલ લોકોની ભેગા થવાની પાબંદી છે તેવા સમયમાં મહિલા બાળ કલ્યાણ વિભાગે આંગણવાડીની ઓનલાઈન ભરતી કરી છે. હાલ સમગ્ર દેશમાં ગુજરાતમાં આંગણવાડીની ઓનલાઇન ભરતી કરી છે. પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત મહેસાણા જિલ્લામાં ૧૩૯ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને ઓર્ડર અપાયા છે. મહિલા બાલ કલ્યાણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે,

આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી ઓનલાઇન કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેમાં પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં ૩૧૯ આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી કરવામાં આવી છે. સમગ્ર દેશમાં આ પહેલો પ્રોજેક્ટ છે. ગામડામાં કોઈ મહિલાઓ પાસે મોબાઈલ ન હોય કે કોઈ વ્યવસ્થા ન હોય તો તેમને ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર ફાૅર્મ ભરી આપે છે. આ સમગ્ર પ્રક્રિયામાં ઓનલાઇન અરજદારો પાસે અરજી મંગાવાઈ હતી. જેમાં મહિલાઓએ તમામ ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હશે. જેની સાથે તમામ બાબત કોમ્પ્યુટરાઈઝ કરવામાં આવી છે અને કોઈ ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા ન હતા. તેની સાથે તમામને ઓનલાઇન વેરિફિકેશન થયા બાદ લાયકાત અને મેરિટના આધારે નિમણૂક પત્ર પણ આપવામાં આવ્યા છે. હવે આગામી તમામ ભરતી પણ ઓનલાઇન પ્રક્રિયાથી કરવામાં આવશે.