જામનગર,જામનગર શહેરમાં પ્રથમ વખત માતા-પિતા વિહોણી દિકરીઓના ભવ્ય સમૂહ લગ્ન યોજાયા હતા. તપોવન ફાઉન્ડેશનના સ્થાપક તેમજ ટ્રસ્ટી અને પૂર્વ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદી દ્વારા માતા- પિતા વિહોણી ૧૬ દીકરીઓના લગ્ન કરાવ્યાં હતા. જેને લઈ જૂનાગઢના ગોરખનાથ આશ્રમના સંત શેરનાથ બાપુ દ્વારા પણ આ કાર્યને આવકારવામાં આવ્યું હતું. તમામ સાધુ-સંતો તેમજ આમંત્રિતો મહેમાન દ્વારા પણ તેમનું આ કાર્ય પ્રેરણારૂપ ગણાવ્યું હતું અને આગામી સમયમાં વધુ માતા-પિતા વિહોણી દીકરીઓના લગ્ન બીજી સંસ્થા દ્વારા પણ કરાવવામાં આવશે. જામનગરની તપોવન સંસ્થા દ્વારા માતા-પિતા કે પિતા વગરની ૧૬ દિકરીઓના સમુહ લગ્ન ધામધુમથી ઉજવાયા હતા. આ સમુહ લગ્નોમાં નવવધુ બનવા જઈ રહેલી તમામ દિકરીઓનું પુજન કરવામાં આવ્યું હતું. તેમજ જે દંપતીઓને દિકરીની ખોટ છે. તેવા દંપતિઓએ ભાવ પૂર્વક કન્યાદાન કર્યું હતું. ખાસ ગોરાક્ષનાથ આશ્રમના શેરનાથ બાપુએ ઉપસ્થિત રહી તમામ દીકરીઓને આશીર્વાદ આપ્યાં હતા. તમામ ૧૬ દીકરીઓ ઉપર ભવ્ય પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને લગ્ન ઉત્સવમાં આવેલા મહેમાનો દ્વારા તેમને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. આ માતા-પિતા વિહોણી તેમજ પિતા વિહોણી દીકરીઓને સમાજના પ્રમુખો સંસ્થાના આગેવાનો, સાધુ-સંતો દ્વારા આશીર્વાદ આપવામાં આવ્યા હતા. જામનગરમાં પ્રથમ વખત માતા-પિતા વિહોણી દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન યોજાયા હતા. તપોવન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા રણજીતનગર પાછળ પ્રણામી સંપદાયની જગ્યામાં આયોજિત સમુહ લગ્નોત્સવમાં સંસ્થા દ્વારા તમામ દિકરીઓને સહયોગીઓના સહયોગથી આણામાં સોના-ચાંદી દાગીનાથી માંડીને કબાટ, સેટી-પલંગ, ટેબલ, ટોસ્ટર, કુલર જેવી ઘર ઉપયોગી ૧૪૦ થી વધુ વસ્તુઓ કરિયાવર તરીકે આપવામાં આવી હતી. કન્યાઓની મહેંદી, બ્યુટી પાર્લરની,૧૬ વરરાજાઓના ૪ બગીઓમાં સામુહિક વરઘોડાની તેમજ બંન્ને પક્ષોના મર્યાદિત સગા-સબંધીઓના સમુહ જમણવારની વ્યવસ્થા કરવામાં આવી હતી.