અંકલેશ્વર, ભરૂચની ચાર જેટલી પાણી પુરવઠાની યોજનાનું ખાતમુહુર્ત આજરોજ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું. રૂ.૩૮૭ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ યોજનાઓ થકી જીલ્લાની ૩.૪૫ લાખ જેટલી વસ્તીને પીવાનું શુદ્ધ પાણી મળી શકશે. 

ભરૂચ જીલ્લાના અનેક ગામો પીવાના શુદ્ધ પાણીથી વંચિત છે. દરિયાનું ખારું પાણી અનેક વિસ્તારમાં ફેલાઈ જતા ભૂગર્ભ જળ ક્ષાર યુક્ત બન્યા છે અને પરિણામે લોકોને પીવાનું શુદ્ધ પાણી નથી મળી શક્યું. ત્યારે રાજ્ય સરકારની નલ સે જલ યોજના અંતર્ગત જીલ્લામાં રૂ.૩૮૭ કરોડના ખર્ચે પાણી પુરવઠાની ચાર જેટલી યોજનાઓ નિર્માણ પામશે. જેમાં નેત્રંગ-વાલિયા જૂથ યોજના, મધ્ય બારા જૂથ પાણી યોજના, ઝાડેશ્વર જૂથ પાણી યોજના તથા રૂંઢ-રાજપારડી જૂથ યોજનાનો સમાવેશ થાય છે. જેનું લોકાર્પણ આજરોજ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ યોજના થકી નેત્રંગ વાલિયાના ૧૩૫ ગામો અને બે શહેરોની બે લાખ વસ્તીને લાભ મળશે તો મધ્ય બારા જૂથ યોજના અંતર્ગત ભરૂચ, વાગરા અને આમોદ તાલુકાના ૧૯ ગામોની ૩૯ હજાર વસ્તીને લાભ મળશે. ઝાડેશ્વર જૂથ પાણી યોજના અંતર્ગત ભરૂચના ચાર ગામોની ૯૨ હજાર વસ્તી તથા રૂંઢ-રાજપારડી જૂથ યોજના અંતર્ગત ઝગડિયા ની ૭ હજાર જેટલી વસ્તીને લાભ મળશે.વાલિયાના સીતારામ નર્સિંગ કોલેજ કમ્પાઉન્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન વિજય રુપાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં હાલમાં ૮૦ ટકા લોકોને નળ સે જળ યોજના અંતર્ગત ઘેર ઘેર પાણી મળી રહ્યું છે અને ટૂંક જ સમયમાં ૧૦૦ ટકા લોકોને પાણી મળશે રાજ્યમાં પાણીનો દુકાળ એ ભૂતકાળ બની જશે.અને તેના માટે રાજ્ય સરકાર નો સોર્સના બદલે પાણીનો પરમેનેન્ટ સોર્સ ઉભો કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તેઓએ ઉમેર્યું હતું કે ભાડભૂત બેરેજ યોજનાથી ભૂગર્ભ જળ ખારું થતું અટકશે તથા દહેજ ખાતે ડી સેનિટેશન પ્લાન્ટ થકી દરિયાનું પાણી મીઠું કરાશે.