અમદાવાદ

રાજ્ય સહિત અમદાવાદ શહેરમાં પણ કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. ત્યારે અમદાવાદ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટમાં હોળી  અને ધુળેટીના તહેવારના દિવસે IIMમાં વધુ 16 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. નોંધનીય છે કે, કુલ 116 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ભારત અને ઇન્ગલેન્ડની મેચ જોવા ગયેલા 5 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા બાદ આઈઆઈએમમાંથી 70 જેટલા લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

આ સાથે જીટીયુમાં પણ કોરોનાએ દસ્તક દીધી છે. GTUના વી.સી. ડૉ. નવીન શેઠ કોરોના પોઝિટિવ આવ્યા બાદ અન્ય લોકો પણ કોરોનામાં સપડાયા છે. જીટીયુમાં વી.સી ડૉ. નવીન શેઠ બાદ રજીસ્ટાર સહિત અન્ય 10 કર્મચારીઓનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

નોંધનીય છે કે, આઈઆઈએમમાં 5 વિદ્યાર્થીઓની ભૂલને કારણે વધારે લોકોને સંક્રમણનો ભોગ બનવું પડ્યુ છે. મ્યુનિના સત્તાવાર સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ,12 માર્ચના રોજ આઈઆઈએમના છ જેટલા વિદ્યાર્થીઓ ભારત ઇન્ગલેન્ડની ક્રિકેટ મેચ જોવા ગયા હતા.પરત આવ્યા બાદ તેમણે મ્યુનિ.ના ટેસ્ટીંગ ડોમમાં ટેસ્ટ કરાવતા છ પૈકી પાંચ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ માલૂમ પડયા હતા.પરંતુ આ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની હોવાથી તેમણે આ વિગત છૂપાવી હતી. આ ઉપરાંત મ્યુનિ.સૂત્રોના કહેવા મુજબ,આ વિદ્યાર્થીઓએ તેમના સરનામા પણ અહીંના લખાવવાના બદલે તેમના વતનના લખાવ્યા હતા.જેથી તંત્રને જાણ ના થાય.

બે દિવસમાં IIMAમાં 15 જેટલા વિદ્યાર્થીઓ સહિત 23 લોકો પોઝિટિવ આવ્યા, 26થી 27 માર્ચે કરવામાં આવેલા કોરોના ટેસ્ટમાં વધુ પાંચ લોકો પોઝિટિવ આવ્યા હતા.