અમદાવાદ-

અમદાવાદ મેલ ટ્રેનમાં હરિદ્વાર આવેલા યાત્રિકોના રેલવે સ્ટેશન પર કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા હતા. જેમાં ગુજરાતથી આવેલા 6 યાત્રિકો કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળતા તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે કોવિડ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે. આ યાત્રિકો ગુજરાતથી ગંગાસ્નાન માટે હરિદ્વાર ગયા હતા. કુંભના મેળા દરમિયાન ઉત્તરાખંડમાં કોરોના કેસની સંખ્યામાં ચોંકાવનારો વધારો નોંધાયો હતો. આ દરમિયાન કુંભના મેળામાં આવેલા મોટાભાગના લોકોએ નકલી કોરોના ટેસ્ટ કરાવ્યા હોવાનો ઘટસ્ફોટ પણ થયો હતો. જેની તપાસ હાલ ચાલી રહી છે. ઉત્તરાખંડ હાઈકોર્ટમાં આ અંગેની સુનવણી હાલ ચાલી રહી છે. જેના કારણે જ ઉત્તરાખંડમાં આવતા યાત્રાળુઓ પર હાલમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને દરેક યાત્રાળુઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.