28, ઓક્ટોબર 2020
વડગામ: વડગામ તાલુકાના ડાલવાણા ગામમાં આવેલા વારંદા વીર દાદા મંદિરે પ્રતિ વર્ષની જેમ આ વરસે પણ નવરાત્રીના નવમા નોરતે રવિવારના દિવસે વિર દાદાની પલ્લી ભરાઈ હતી.જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અનેક શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા.પલ્લીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
વડગામ તાલુકાના ડાલવાણા ગામમાં આવેલા અતિ પ્રાચીન અને સરસ્વતી નદીના કિનારે અતિ રમણીય અને કુદરતી સોંદર્ય ભરપુર વાતાવરણમાં વારંદા વીરદાદાનું મંદિર આવેલું છે. જે મંદિર ગામથી એક કિલોમીટર દૂર છે. વીરદાદાના ભકતો સમગ્ર દેશમાં છે. નવરાત્રિના નવમા દિવસે વારંદા વીરદાદાની ભવ્ય પલ્લી ભરાઈ છે. જે પલ્લી ગામમાં આવેલા પાટ સ્થાન ખાતે તૈયાર કરવામાં આવે છે. પલ્લી નીકળી પહેલા મુસ્લિમ જાગીરદાર મહોલ્લામાં જાય છે. ત્યાં મુસ્લિમ બિરાદરો પલ્લીમાં ઘી ચડાવે છે. ત્યાંથી પલ્લી ગામમાં ભ્રમણ કરી ચોકમાં આવે છે.જ્યાં પલ્લી ઉપાડનાર વ્યક્તિની વીર દાદામા ભુવાજી વશરામ કાકા પીઠ થાબડતાની સાથે પલ્લી ઉપાડનાર પવન વેગે ગામથી એક કિલોમીટર દૂર આવેલા વારંદા દાદા મંદિરે પહોંચી જાય છે. ત્યાં પહોંચી ગયા પછી મંદિરના પૂજારી પંકજભાઈ ઠાકર અને ગ્રામજનો દ્વારા વિર દાદાની ભવ્ય આરતી કરવામાં આવે છે. ત્યાર બાદ આવેલા ભક્તો પલ્લીનો પ્રસાદ આપવામાં આવે છે. આ પલ્લીમાં આવેલા ગામના અને બહારથી આવેલા ભક્તો વીરદાદાની આરતી અને પ્રસાદ ધન્યતા અનુભવે છે. મંદિરના આયોજકો દ્વારા આવનાર ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે.