આણંદ, તા.૩૧ 

આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના પ્રાંત અધિકારી મનિષાબેન બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં પેટલાદ સેવા સદન ખાતે આગામી ધાર્મિક તહેવારોના અનુસંધાને ગૃહ વિભાગ, ગુજરાત સરકારની ગાઇડલાઇન મુજબ ધાર્મિક સ્થળો અને ઉપાસનાના સ્થળોમાં કોરોના વાઇરસના સંક્રમણને નિયંત્રિત રાખવાના હેતુસર ધર્મના વડાઓ અને અન્ય સામાજિક આગેવાનો સાથે તેઓને કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને ગૃહ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલાં ર્જીંઁનું અમલવારી કરવા અંગે બેઠક યોજાઇ હતી. આ બેઠકને સંબોધતા પેટલાદના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ મનિષાબેન બ્રહ્મભટ્ટે ઉપસ્થિતોને ધાર્મિક સ્થળો અને ઉપાસનાના સ્થળોમાં કોરોના વાઇરસના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે સરકાર દ્વારા જાહેર કરેલી ગાઇડલાઇન મુજબ પ્રવેશ દ્વાર ઉપર ફરજિયાત હાથની સ્વચ્છતા માટે સાબુ, પાણી અથવા સેનિટાઇઝર મૂકવા જણાવ્યું હતું. થર્મલ સ્ક્રિનિંગની વ્યવસ્થા ગોઠવવા, માસ્ક પહેરેલી વ્યક્તિઓને જ પ્રવેશની મંજૂરી આપવા, ધાર્મિક સ્થળ પર પરિસરની અંદર કે બહાર સામાજીક અંતરનું ચુસ્તપણે પાલન કરવા, ધાર્મિક સ્થળ પર વ્યક્તિઓને મોટા પ્રમાણમાં સમૂહમાં એકત્ર કરવા, મોટા મેળાવડા, ધાર્મિક સભા, સત્સંગ જેવા સામૂહિક કાર્યો પર પ્રતિબંધ હોવાથી તેવાં કાર્યો ન કરવા સૂચનો આપ્યાં હતાં. ધાર્મિક સ્થાનની અંદર પ્રસાદ, પવિત્ર પાણીનું વિતરણ અથવા પ્રવિત્ર જળ છંટકાવ પર પ્રતિબંધ હોવાનું કહ્યું હતું. ધાર્મિક સ્થાનોએ કોવિડ -૧૯ અંગે નિવારક પગલાં દર્શાવતાં પોસ્ટરો-લખાણો યોગ્ય જગ્યાએ સ્પષ્ટ પણે પ્રદર્શીત કરવા અંગે જણાવ્યું હતું. વધુમાં પ્રાંત અધિકારીએ જિલ્લામાં આવેલાં વિવિધ ધાર્મિક મંડળો, આયોજકો, ટ્રસ્ટીઓને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે સ્વૈચ્છિક રીતે જ ધાર્મિક મેળા, ગણેશ મંડળોને આયોજન ન કરવા તેમજ ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે જાેવાં જણાવ્યું હતું. જાહેર જનતા દ્વારા પણ ધાર્મિક મૂર્તિઓનું જાહેર સ્થળોએ સ્થાપન ન કરતાં પોતાના ઘરમાં જ પૂજા અર્ચના કરવા તેમજ જાહેર સ્થળોએ મૂર્તિઓનું વિસર્જન ન કરવા તેમજ તેનો વધુને વધુ પ્રચાર-પ્રસાર કરવા અપીલ કરી હતી. આ બેઠકમાં પેટલાદના નાયબ જિલ્લા પોલીસ વડા આર.એલ. સોલંકી, પેટલાદ મામલતદાર મહેશ્વરીબેન રાઠોડ, સોજિત્રાના મામલતદાર હેમંત પાઠક, સોજિત્રાના પીએસઆઈ, પેટલાદ અને સોજિત્રાના નગરપાલિકા ચીફ ઓફિસર અને વિવિધ ધર્મના વડાઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.