ભાવનગર ભાવનગર ફૂલસર વિસ્તારમાં આવેલ સંસ્કાર વિદ્યાલય ની બાજુમાં ૨૫ વારીયા સ્લમ વસાહતમાં રહેતા અને મજૂરી કરી જીવન નિર્વાહ ચલાવતા ગીતાબેન કિશોરભાઈ મારૂ ઉ.વ.૪૫ના પુત્ર ગૌતમને આજથી ત્રણ વર્ષ પહેલાં ઘરપાસે જ રહેતા શૈલેષ ધનજી કોળી તથા રોહન શંભુ કોળી સાથે માથાકૂટ થતા ગૌતમે બંને શખ્સો વિરુદ્ધ ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. જે અંગેનો કેસ હાલમાં કોર્ટમાં ચાલતો હોય ત્યારે ગતરોજ રાત્રીના સમયે ગૌતમની માતા ગીતાબેન પતિ માટે ઘર પાસે આવેલ દુકાને બીડી લેવા ગઈ હોય એ વખતે શૈલેષ ઘનજી, રોહન શંભુ તથા બે અજાણ્યા શખ્સોએ મહિલાને ધમકી આપી હતી અને જણાવ્યું હતું કે તારા પુત્ર એ કરેલો પોલીસ કેસ પોછો ખેંચી લે અને અમારી સાથે સમાધાન કરી લે આથી મહિલાએ પોલીસ કેસ પરત લેવાની તથા સમાધાન ની ના પાડતા ઉશ્કેરાયેલા ચારેય શખ્સોએ મહિલાને પાઈપ વડે આડેધડ માર માર્યો હતો, અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી, દરમ્યાન ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જયાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું, બીજી તરફ મૃતક મહિલાની ડેડબોડી સરટી હોસ્પિટલમાં પીએમ રૂમમાં રાખવામાં આવી છે અને દલિત સમાજના લોકો અગ્રણીઓ મોટી સંખ્યામાં એકઠા થયા છે, અને આરોપીઓ ને જયાં સુધી ઝડપી લેવામાં નહીં આવે ત્યાં સુધી લાશ સ્વીકારી અંતિમ સંસ્કાર ન કરવાનો ર્નિણય કર્યો છે.