અરવલ્લી-

અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકામાં આવેલ પર્યટન સ્થળ તરીકે જાણીતા ઝાંઝરી ધોધમાં એક આશાસ્પદ યુવાનનું ડુબી જવાથી કરૂણ મોત નિપજ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આમ ફરી એકવાર ઝાંઝરી ધોધ પર્યટકો માટે ગોઝારો સાબિત થયો છે. વધુ પ્રાપ્ત માહિતી મુજબ, જીવન એપાર્ટમેન્ટ, ગોરના કુવા પાસે, જશોદાનગર, અમદાવાદ ખાતે રહેતો યુવાન અગાપે ચંદુભાઈ રાઠોડ તેના ત્રણ મિત્રો સાથે રવિવારની રજા હોવાથી પર્યટન સ્થળ તરીકે જાણીતા બાયડ તાલુકાના આંબલીયારા નજીક ઝાંઝરી ધોધ ખાતે આવ્યા હતા. ધોધમાં ન્હાવા પડેલા ત્રણ મિત્રોમાંથી રાઠોડ અગાપે ચંદુભાઈનું ધોધના ઉંડા વહેણમાં તણાઈને ડુબી જતાં તેનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. મ્રુતક યુવાન રાઠોડ અગાપે ચંદુભાઈ ધનવંતરિ હોસ્પિટલમાં હંગામી ધોરણે નોકરી કરતો હતો. ઘટનાની જાણ આંબલીયારા પોલીસને થતાં પો સ.ઈ ડામોર પોલીસ કુમક સાથે તાબડતોબ ઘટના સ્થળે પહોંચી પાણીમાં ડુબેલા યુવાનને સ્થાનિક તરવૈયાઓની મદદ લઈ બહાર કઢાવ્યો હતો. જે યુવાનનું સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું હતું.