માંડવી, માંડવી નગર પાલિકા દ્વારા તાપી નદીમાં ગટરનું ગંદુ પાણી છોડવાની સમસ્યા ઘણા લાંબા સમયથી વિવાદમાં રહી છે. ત્યારે તે સમસ્યાનું કાયમી સમાધાન લાવવા માંડવી આપ પાર્ટી દ્વારા તજવીજ હાથ ધરાય રહી છે. જેના સંદર્ભે આપ પાર્ટીનાં કાર્યકર્તાઓ દ્વારા આ મુદ્દે માંડવી પ્રાંત અધિકારી, મામલતદાર અને નગર પ્રમુખને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે માંડવી નગર પાલિકા દ્વારા વર્ષોથી ગટરનું ગંદુ પાણી પવિત્ર તાપી નદીમાં છોડવામાં આવે છે. જેના કારણે નદીમાં પ્રદુષણનું પ્રમાણ વધી રહ્યું છે. તેમજ નદી માંથી માછલી પકડતા માછીમારો, નદીનું પાણી પીતા જાનવરો તેમજ નદીમાં રહેતા જીવો આ પ્રદૂષણનો શિકાર બની રહ્યા છે. વધુમાં જણાવાયું હતું કે પ્રદુષણ અટકાવવા ગણપતિ વિસર્જનમાં ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કુત્રિમ તળાવમાં કરવામાં આવે છે. તે તો વર્ષમાં માત્ર એકવાર જ હોય છે. પરંતુ તાપી નદીમાં છોડવામાં આવતું આ ગટરનું ગંદા પાણીથી શુ પ્રદુષણ નથી ફેલાતું? તો જાે દિન ૨૦ માં આ સમસ્યાનું સમાધાન લાવવામાં ન આવે તો આપ પાર્ટીનાં કાર્યકર્તાઓ દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે પ્રતિક ઉપવાસ પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.