સરકારે ખાતા પરત લીધા બાદ બંને મંત્રીઓની ચેમ્બરમાં સોપો પડી ગયો
23, ઓગ્સ્ટ 2022

ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના બે મંત્રીઓ પાસેથી મહત્વના ખાતાને પરત ખેંચી લેવાયા બાદ આજે સચિવાલયમાં આ બંને મંત્રીઓની ચેમ્બરમાં સોંપો પડી ગયેલો જાેવા મળ્યો હતો. એટલું જ નહીં, આ બંને મંત્રીઓની તક્તીમાંથી પરત ખેંચી લેવાયા વિભાગના નામ પણ હટાવી દેવાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેમના મંત્રીમંડળના બે સિનિયર મંત્રીઓ પાસેથી મહત્વના વિભાગ છીનવી લેવાની ઘટના શનિવારે બની હતી. આ ઘટના બાદ સચિવાલયમાં આજે પ્રથમ સોમવાર હતો. સામાન્ય રીતે સ્વર્ણિમ સંકુલ ૧ ખાતે સૌથી વધારે ભીડનો જમાવડો આ બંને સિનિયર મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદીને ત્યાં જાેવા મળતો હતો. સપ્તાહના પ્રારંભમાં સોમવાર હોય કે મંગળવાર, નાગરિકોની મુલાકાતના સમયે આ બંને મંત્રીઓની ચેમ્બરમાં ઊભા રહેવાની પણ જગ્યા મળી શકતી ન હતી. કારણ કે, આ બંને સિનિયર મંત્રીઓ પાસે એવા વિભાગ હતા, જે સીધા જ નાગરિકોને સ્પર્શતા મહત્વના વિભાગો હતા. જાે કે, ભૂપેન્દ્ર પટેલ દ્વારા કોઈ અગમ્ય કારણોસર આ બંને મંત્રી પાસેથી તેમના મહત્વના એવા વિભાગ છિનવી લેવાયા બાદ આજે સોમવારે આ બંને મંત્રીઓની ચેમ્બરમાં સોંપો પડી ગયેલો જાેવા મળ્યો હતો. આ બંને મંત્રીઓની ચેમ્બર અને ઓફિસ નાગરિકોની ભીડથી ઉભરાતી હતી, તે ચેમ્બરમાં આજે કોઈ પ્રજાજન જાેવા મળતો ન હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution