અમદાવાદ-

માતાપિતાથી તરછોડાયા બાદ બાળકો એકલા પડી જતા હોય અને અંતે તેઓ અનાથ આશ્રમમાં જીવન વિતાવતા હોય છે. ત્યારે આ અનાથ બાળકોને કોઈ દંપતીનો સહારો મળતો હોય છે. આ જ રીતે ગયા માર્ચ મહિનાથી ઈટલીમાં દંપતી એડોપ્શન પ્રક્રિયા પૂર્ણ થવાની રાહ જોતું હતું. કારણ કે, ભારતના 6 વર્ષના બાળકને તેમણે દત્તક લેવું હતું, જે પ્રક્રિયા આજે પૂર્ણ થઈ ગઈ હતી. બાળક મહેન્દ્રની ઉંમર 5 વર્ષ અને 11 મહિના છે. 2.5 વર્ષની ઉંમરમાં સંસ્થામાં પ્રવેશ મેળવ્યો ત્યારે મહેન્દ્ર દિવ્યાંગ હતો. સ્પીચ થેરાપી, ફિઝિયોથેરાપી અને જરૂરી તબીબી સારવારને કારણે મહેન્દ્રનો શારીરિક વિકાસ પૂર્વવત બન્યો હતો. આજે નાનકડો મહેન્દ્ર દોડી શકે છે, ડાન્સ કરી શકે છે. આ સમયે અમદાવાદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર સંદીપ સાગલે ઈટલિયન દંપતીને બાળક દત્તક આપવાની કાનૂની પ્રક્રિયા આજે પૂર્ણ કરી હતી. કોરોના મહામારીને કારણે આંતરરાષ્ટ્રીય હવાઈ ગમન બંધ હતું. આ ઉપરાંત બાળક દત્તક લેવાની કાયદાકીય પ્રક્રિયાઓ પણ દુનિયાભરમાં મૂલતવી હતી. જનજીવન હવે સામાન્ય થઈ રહ્યું છે ત્યારે સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી-‘કારા’એ આ વર્ષે નવેમ્બર મહિનાને ‘ઈન્ટરનેશનલ એડોપ્શન મંથ’ જાહેર કર્યો છે.