અમદાવાદ-

શહેરમાં ઘરેલુ હિંસાનાં બનાવોનો જાણે રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે. દિવસેને દિવસે ઘરેલુ હિંસાના કેસમાં વધારો જોવા મળ્યો છે. અને આ પ્રકારના બનાવો જોતા હજી પણ સમાજમાં દહેજનું દૂષણ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે શહેર નારણપુરા વિસ્તારમાં પરિણીતાને રૂપિયા 20 લાખ માટે ત્રાસ તેણે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. મળતી માહિતી મુજબ નારણપુરામાં રહેતી અને ખાનગી બેંકમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતી મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે વર્ષ 2009માં તેના લગ્ન સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. જો કે લગ્ન બાદ તેને દીકરીનો જન્મ આપતા જ તેના સાસુ અને પતિ નો વ્યવહાર બદલાઈ ગયો હતો. 

તારા પિતાજી એ દહેજમાં કશું આપેલ નથી તારા પિતાજીને ત્યાંથી ધંધા માટે રૂપિયા લઇ આવો આવા મેણા-ટોણા પરિણીતાને વારંવાર મારવામાં આવતા હતા. એટલું જ નહીં ફરિયાદી તેની દીકરી માટે કોઈ વસ્તુ મંગાવે તો પણ તેના પતિ ઉશ્કેરાઈ જતા હતા અને બીભત્સ ગાળો બોલતા હતા. 

પરિણીતાના પતિને અન્ય એક મહિલા સાથે આડાસંબંધ હોવાની જાણ થતાં જ પરણીતાએ આ બાબતે તેના પતિને જાણ કરતા જ તેના પતિએ ઉશ્કેરાઇ ગયા હતા અને કહ્યું હતું કે મારે તેની સાથે સંબંધો રહેશે. તેમ કહીને પરિણીતાને એક લાફો પણ મારી દીધો હતો. એટલું જ નહીં પરણિતાના પતિએ તેને કહેલ કે હું તને પણ રાખીશ અને બહાર તેને પણ રાખીશ, તેની સાથે કોઈ સંબંધ તોડીશ નહીં. જોકે પરણિતા વિરોધ કરતા તેના પતિએ કહ્યું હતું કે 'તારા પિતા એ મને એવી તો કેવી મિલકત આપી દીધી છે કે તેના પર તું કૂદે છે. તારે આ ઘરમાં રહેવું હોય તો તારા પિતાજી પાસેથી રૂપિયા 20 લાખ લઇ આવો પછી જ તેને ઘરમાં ઘૂસવા દઈશ.' બાદમાં પરિણીતા પોતાના પિતાને ત્યાં રહેવા માટે ચાલી ગઇ હતી. જોકે અહીં પણ તેનો પતિ તેની દીકરીને લઈ જવા માટે વારંવાર ફોન કરતો હતો. એટલું જ નહીં પરિણીતાને છૂટાછેડા આપી દેવા માટે પણ ધમકી આપતો હતો. જે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે હાલમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.