ભરૂચ-

ગુજરાતના રાજકરણમાં પગપેસારો કરવા હવે એઆઈએમઆઈએમે બીટીપી સાથે ગઠબંધન કર્યું છે. ભરૂચમાં BTP અને AIMIM વચ્ચે ગઠબંધનની રૂપરેખા તૈયાર કરવા વાલિયા ખાતે બેઠક યોજાઈ હતી. 

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે રાજકારણમાં નવો જ વળાંક આવી રહ્યો છે. રાજસ્થાનની ડુંગરપુર જિલ્લા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસે મળી બીટીપીને સત્તાથી દૂર રાખતા બીટીપી નારાજ થયું છે અને ભરૂચ તેમ જ નર્મદા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે તો હવે હૈદરાબાદની અસદુદ્દીન ઓવૈસીની AIMIM સાથે ગઠબંધનની તૈયારી ચાલી રહી છે, જેના ભાગરૂપે ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાના માલજીપુરા સ્થિત નિવાસ સ્થાને બંને સંગઠનના આગેવાનો વચ્ચે બેઠક યોજાશે.

આ પૂર્વે ભરૂચની ઝાડેશ્વર ચોકડી ખાતે AIMIMના મહારાષ્ટ્રના સાંસદ ઈમ્તિયાઝ ઝલીલ અને માજી ધારાસભ્ય વારિસ પઠાણનું બિટીપી તેમ જ સ્થાનિક આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હવે આ બંને પક્ષ વચ્ચે બેઠક યોજાશે એટલે શું નવો નિર્ણય લેવામાં આવશે તે ટૂંક સમયમાં જાણવા મળશે.