અક્ષરનિવાસી હરિપ્રસાદ સ્વામીની આવતીકાલે અંતિમવિધિ, દર્શનના છેલ્લા દિવસે ભાજપ-કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ પહોંચ્યા
31, જુલાઈ 2021

વડોદરા-

શહેર નજીક આવેલા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી ગત સોમવારે મોડી રાત્રે 11 કલાકે 88 વર્ષની ઉંમરે અક્ષરનિવાસી થયા છે. સોખડા હરિધામ મંદિરમાં 1 ઓગસ્ટના રોજ બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહની અંતિમસંસ્કાર વિધિ બપોરે 2:30 કલાકે સંતો દ્વારા વેદ-શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી સંપન્ન કરવામાં આવશે. આ પહેલાં સ્વામીજીના વિગ્રહને ગંગા, જમુના, નર્મદા સહિત 7 નદીનાં જળથી સ્નાન કરાવાશે. ત્યાર બાદ પાલખીયાત્રા નીકળશે, યાત્રાને મંદિર પરિસરમાં જ લીમડાના વન ખાતે સમાપ્ત કર્યા બાદ અંતિમસંસ્કાર વિધિ સંપન્ન થશે. અંતિમસંસ્કાર વિધિમાં ચંદન, લીમડા સહિતનાં 8 વૃક્ષનાં લાકડાંનો ઉપયોગ કરવામાં આવશે.

હરિધામ સોખડાના પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીની અક્ષરધામની અનંત યાત્રાએ ગયા છે. અનુપમ આત્મીયતા અને સરળતા આગવી સહજતા અનહદ સુહદભાવ અને અપ્રિતમ સાધુતાનું મૂર્તિમાન સ્વરૂપ એવા પરમ પૂજ્ય સ્વામીજીએ તેમની આ પૃથ્વી પટની પ્રભુપ્રેરિત યાત્રા દરમિયાન પ્રભુભક્તિ અને ગુર ભક્તિના અનોખા સમન્વયનું દર્શન કરાવ્યું છે. તેઓની આધ્યાત્મિકતાનો ઉજાસ સમગ્ર સમાજને પ્રકાશિત કરતો રહ્યો છે. સ્વામીજીની ચિર વિદાયથી સમાજમાં એક ખાલીપો વર્તાઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. સ્વામીજીની વિચારધારા સૌની વચ્ચે જ છે અને રહેશે. તેમજ તેમના આશિર્વાદ થકી તેમના બતાવેલા માર્ગ પર આગળ વધવાની સૌને પ્રેરણા મળી રહેશે, તેમ હરિભક્તો જણાવી રહ્યા છે. આ સાથે સમાજના તમામ વર્ગના લોકો આજે પણ તેમની અંતિમયાત્રાથી દુઃખની લાગણી અનુભવી રહ્યા છે. સ્વામીજીની ચિર વિદાયથી એક આખા યુગનું જાણે સમાપન થયું હોય એવી લાગણી થઈ રહી છે, પરંતુ તેમના સંસ્કાર સિંચન અને તેઓનો આટલો વિશાળ વારસો આવનારી પેઢી માટે અમૂલ્ય બનીને રહેશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution