ભરૂચ, ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં આવેલ કોવિડ વોર્ડના આઈ.સી.યુ. વોર્ડ-૧,૨ માં ગોઝારી આગ લાગી હતી. જેમાં ૨ નર્સિંગ સ્ટાફ અને ૧૬ દર્દીઓ સહિત કુલે ૧૮ લોકો મોતના મુખમાં ધકેલાયા હતા. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ટિમ બાદ બીજા દિવસે રાજ્ય કોંગ્રેસ પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયા પોતાના કાફલા સહિત આવી વેલ્ફેર હોસ્પિટલ અને ભરૂચ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. વેલ્ફેર હોસ્પિટલમાં મૃત પામેલ લોકો માટે ભારે શોક વ્યક્ત કર્યો હતો. તેમજ હોસ્પિટલને થયેલ આર્થિક નુકશાન બાબતે તેઓએ ચિંતા વ્યક્ત કરી હતી. રૂપાણી સરકારે મૃત પામેલા ૧૮ લોકોના પરિવારને ચાર ચાર લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે, જ્યારે ચાર લાખ નહિ પણ આઠ આઠ લાખ રૂપિયા આપવા જાેઈએ તેમ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું. તેમજ ટ્રસ્ટ સંચાલિત વેલ્ફેર હોસ્પિટલમાં ફરીથી કોવિડ વેન્ટિલેટર વોર્ડ શરૂ થાય અને દર્દીઓને જલ્દીથી સારવાર મળી રહે તે માટે સરકારે કોમ્પેનસેસન આપવું જાેઈએ. ભરૂચની સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. એસ.આર.પટેલ સાથે મુલાકાત લઈ કોવિડ વોર્ડમાં પડતી દર્દીઓને તકલીફોનો ચિતાર મેળવ્યો હતો. અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ઓક્સિજનનો ફોર્સ ઓછો પડી રહ્યો છે, વેન્ટિલેટરની સગવડ ઓછી પડી રહી છે તેમજ રેમડીસીવીર ઈન્જેકશન માટે લોકો હાલાકી ભોગવી રહ્યા છે.