ઇસ્લામાબાદ-

પાકિસ્તાનના વઝીરિસ્તાન પ્રાંતમાં સેના અને બળવાખોરો વચ્ચેના ભીષણ એન્કાઉન્ટરમાં ત્રણ જવાનોના મોત થયા છે. આ વિસ્તારમાં પાકિસ્તાની સેનાએ ત્રણ દિવસની અંદર બીજી વાર પોતાના જવાનો ગુમાવ્યા છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરીને ગોળીબાર કરનારી પાકિસ્તાની સેનાને ભારતીય સૈનિકોની કડક કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો. આમાં પાકિસ્તાની સેનાના એક જવાનનું મોત થયું હતું.

પાકિસ્તાની સેના એ એક નિવેદન રજૂ કરીને કહ્યું કે ઉત્તર વઝીરીસ્તાનના કબાયલી વિસ્તારમાં વિદ્રોહીઓની સાથે અથડામણમાં ત્રણ જવાન મરી ગયા છે. સેના એ કહ્યું કે પહેલી ઘટનામાં ગુપ્તચર માહિતીના આધાર પર પાકિસ્તાની સૈનિકોએ ઉત્તરી વઝીરીસ્તાનમાં બે ઓપરેશન ચલાવ્યા જેમાં બે શંકાસ્પદ વિદ્રોહી મરી ગયા. આ દરમ્યાન વિદ્રોહીઓએ જાેરદાર ગોળીબાર શરૂ કરી દીધો જેમાં ૩ સૈનિકો મરી ગયા.

ડોનના અહેવાલ મુજબ વિદ્રોહીઓએ બે દિવસ પહેલા જ ઉત્તર વજીરિસ્તાનના સ્પિનવામ વિસ્તારમાં સુરક્ષા ચોકી પર હુમલો કર્યો હતો, જેમાં બે સૈનિકો માર્યા ગયા હતા અને એકને ઈજા થઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારે સશસ્ત્ર વિદ્રોહીઓએ મંગળવારે રાત્રે હુમલો કર્યો હતો, બંને પક્ષો વચ્ચે જાેરદાર ફાયરિંગ થયું હતું. સેનાએ કહ્યું કે સેનાએ વિદ્રોહીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

આ દરમિયાન ભારતીય સૈનિકોએ જમ્મુ-કાશ્મીરમાં સતત ગોળીબાર કરીને ઉશ્કેરણીની કાર્યવાહી હાથ ધરતા પાકિસ્તાની સૈન્યને જડબાતોડ જવાબ આપ્યો. આ કાર્યવાહીમાં એક પાકિસ્તાની સૈનિક માર્યો ગયો છે. પાકિસ્તાની સેનાએ જણાવ્યું હતું કે એલઓસીના દેવા સેક્ટરમાં ગોળી વાગતાં એક પાકિસ્તાની સૈનિકનું મોત નીપજ્યું હતું. માર્યા ગયેલા પાકિસ્તાની જવાનની ઓળખ ગુજર ખાન તરીકે થઈ છે.