ગાંધીનગર-
ગુજરાતનું નવુમંડળ કામે લાગ્યું છે.આજથી તમામ મંત્રીઓને પોતાની ચેમ્બરની ફાળવણી કરવામાં આવી છે.કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલે આજે વિધિવત રીતે મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ખાલી પડેલી ચેમ્બરમાં નવા કૃષિ મંત્રી રાઘવજી પટેલ બેસશે.સરકારની ઈમેજ નવેસરથી ઊભી કરવા માટે જે નવી સરકાર રચાઈ છે તેમના માંથે મોટી જવાબદારીનો ભાર મુકવામાં આવ્યો છે ત્યારે ગુજરાતની નવી રચાયેલી સરકારના મંત્રીઓને અગાઉ રહેલા મંત્રીઓની ચેમ્બર ફાળવવામાં આવી છે.
જુઓ, કયા મંત્રીઓને કઈ ચેમ્બરમાં સ્થાન મળ્યું છે.સ્વર્ણિમ સંકુલ-1ના બીજા માળે નીતિન પટેલના સ્ટાફની ચેમ્બર હવે જિતુ વાઘાણીને અને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ચેમ્બર કૃષિમંત્રી રાઘવજી પટેલને ફાળવી છે. અગાઉ નીતિન પટેલ હસ્તક બે ચેમ્બર હોવાથી બે કેબિનેટ મંત્રીઓને સ્વર્ણિમ સંકુલ-2માં ચેમ્બર આપી હતી, પરંતુ હવે તમામ 10 કેબિનેટ મંત્રીનો સમાવેશ સ્વર્ણિમ સંકુલ-1માં કરી દેવાયો છે.
સ્વર્ણિમ સંકુલ-2માં પાવર સેન્ટર ત્રીજા માળે આવેલી પ્રદીપસિંહ જાડેજાની ચેમ્બર હવે રાજ્યકક્ષાના મંત્રી આર.સી.મકવાણાને અપાઇ છે, જ્યારે નવા ગૃહમંત્રી હર્ષ સંઘવીને સ્વર્ણિમ સંકુલ-2ના પ્રથમ માળે આવેલી ચેમ્બર-1 અપાઇ છે, જ્યાં રૂપાણી સરકારના કુંવરજી બાવળિયા બેસતા હતા. જ્યારે માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરીક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પુર્ણેશ મોદીને આર.સી ફળદુની ચેમ્બર ફાળવવામાં આવી છે.
નવા મંત્રીઓને ચેમ્બરની ફાળવણી કરવામાં આવતા જ તેમણે ચાર્જ સંભાળ્યો છે. આજથી તમામ મંત્રીઓ નવા જોશ સાથે એક્શનમાં આવી ગયા છે.