કાબૂલ-

અફઘાનિસ્તાનમાં સતત હિંસા ચાલી રહી છે. તાલિબાને સંપૂર્ણ અફઘાનિસ્તાનમાં હાહાકાર મચાવ્યો છે. તાજેતરમાં અફઘાનિસ્તાનમાં સ્થિત સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય પરિસર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક ગાર્ડનું મોત થયું છે. જાેકે અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્ર સહાયતા મિશને તાલિબાનનું નામ નથી લીધું અને હુમલાખોરોને સરકારવિરોધી તત્વ ગણાવ્યા હતા.

સંયુક્ત રાષ્ટ્ર સહાયતા મિશનના કહેવા પ્રમાણે અફઘાનિસ્તાનના હેરાતમાં સરકાર વિરોધી તત્વોએ સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય પરિસર પર હુમલો કર્યો હતો. તેના પરિણામસ્વરૂપ એક અફઘાન પોલીસ ગાર્ડનું મોત થયું હતું અને અન્ય અધિકારીને ઈજાઓ પહોંચી હતી.તાલિબાની ફાઈટર્સે અફઘાનિસ્તાનના ૨૦ પ્રાંતોમાં મોરચો માંડેલો છે. કંધારમાં સ્થિતિ એટલી હદે બગડી ગઈ છે કે, હજારો લોકો શહેરમાં ફસાઈ ગયા હોવાનું અનુભવી રહ્યા છે. જ્યારે કેટલાય લોકો સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરી ચુક્યા છે. તાલિબાન આતંકવાદીઓ શહેરમાં પ્રવેશવા માટે એડી-ચોટીનું જાેર લગાવી રહ્યા છે પરંતુ હજુ સફળ નથી થઈ શક્યા. આ કારણે તેમણે આજુબાજુના જિલ્લાઓમાં કબજાે જમાવ્યો છે.

આ તરફ તાલિબાન સાથે રાજકીય સમાધાન શોધવા પ્રયત્ન કરી રહેલા પાકિસ્તાને ૨૦૦૧માં અમેરિકાના અફઘાનિસ્તાન પર હુમલો કરવાના ઉદ્દેશ્યને લઈ સવાલો કર્યા છે. વડાપ્રધાન ઈમરાન ખાનના કહેવા પ્રમાણે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં બધું અસ્ત-વ્યસ્ત કરી દીધું છે.વધુમાં ઈમરાન ખાને પાક સરકાર તાલિબાનની પ્રવક્તા નથી માટે અફઘાનિસ્તાનમાં વિદ્રોહી જૂથની કાર્યવાહી માટે જવાબદાર ન ઠેરવી શકાય તેમ કહ્યું હતું. ખાને જણાવ્યું કે, તાલિબાન જે પણ બધું કરી રહ્યું છે કે નથી કરી રહ્યું તેનાથી અમને કશું લાગતું વળગતું નથી. અમે જવાબદાર પણ નથી અને તાલિબાનના પ્રવક્તા પણ નથી.