વડોદરા, તા.૧૦ 

કૃષ્ણ અને તેની લીલાઓનું વિકૃતિકરણ કરીને ફિલ્મ બનાવીને વચ્ર્યુઅલ માધ્યમથી પ્રસારિત કરનારાઓ સામે આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ, હિન્દુ જાગરણ મંચ અને અન્ય ૩૮ સંસ્થાઓએ સાથે મળીને વિરોધ નોંધાવ્યો છે અને આકરા પ્રતિબંધ લાદવાની માગ કરી છે. આ સંદર્ભે વિવિધ સંગઠનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે અને સુપ્રીમ કોર્ટમાં જાહેરહિતની અરજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સંદર્ભે આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદના ડો.જયેશ શાહ, હિન્દુ જાગરણ મંચના નીરજ જૈન અને વેદાંતાચાર્યા ગીરીરાજ શાસ્ત્રીજીએ કહ્યું હતું કે, હાલમાં નેટફલીક્સ પર ક્રિષ્ણા અને તેમની લીલા નામની તેલગુ ફિલ્મ પ્રસારિત કરવામાં આવી રહી છે, તેમાં એક રાધા અને કૃષ્ણ જેવા હિન્દુ ધર્મના પવિત્ર પાત્રોને વિકૃત રીતે ચીતરીને હિન્દુ ધર્મને બદનામ કરી રહ્યા છે. જ્યારે અનુષ્કા શર્માની બુલબુલ નામની ફિલ્મમાં પણ રાધા-કૃષ્ણના દિવ્યપ્રેમના સંબંધોને વિકૃત રીતે ચીતરવામાં આવ્યા છે, ત્યારે ૩૮ જેટલી વિવિધ સંસ્થાઓ સાથે મળીને આગામી તા.૧૪મી ને મંગળવારે ધર્મગુરુઓની ઉપસ્થિતિમાં જિલ્લા કલેકટર અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપશે તેમજ જુદા જુદા જિલ્લા અને તાલુકા મથકોએ ફોજદારી ફરિયાદો દાખલ કરાશે તેમજ સુપ્રીમ કોર્ટમાં તાકીદની જાહેરહિતની અરજી કરી આમ વિકૃતિકરણ કરીને પ્રસારિત કરનારાઓ ઉપર આકરા પ્રતિબંધ લાદવાની માગ કરાશે, જ્યારે તા.૧૮મી જુલાઈએ હિન્દુ સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.