ભાવનગર-

દેશમાં કોરોનાને નાથવા વેકસીન તૈયાર થવામાં છે ત્યારે પ્રબળ આશા જાગી છે તેના પગલે સરકારે વેકસીનનું ડિટ્યુબર્સનની અને સ્ટોરેજ માટેની તૈયારી આરંભી છે તો દરેક જિલ્લા કક્ષાએ આરોગ્ય કર્મચારી, તબીબો સહિતનું લિસ્ટ તૈયાર કરવા સૂચના મળતા ભાવનગરમાં પણ મહાપાલિકા, જિલ્લા પંચાયત અને સર ટી. હોસ્પિટલ તથા ખાનગી તબીબો, સ્ટાફને કોરોના વેકસીન આપવાના પ્રથમ રાઉન્ડમાં સમાવી લેવા લિસ્ટ તૈયાર થઈ ચૂક્યું છે.

કોરોના મહામારીના સંક્રમણ સામે રસીકરણ આશાવાદનું કિરણ છે. આવા સંજોગો વચ્ચે આગામી દિવસમાં રસીકરણ માટે તંત્ર દ્વારા ચાર તબ્બકે પ્રક્રિયા હાથ ધરવામા આવશે તેમ જાણવા મળ્યું છે. જેમાં મહાનગર પાલિકા વિસ્તારના તથા જિલ્લા પંચાયત હેઠળ કામ કરતા 11,100 આરોગ્ય કર્મચારીઓનો ડેટા તૈયાર કરી નખાયો છે. ચૂંટણી પંચની મંજુરી મળતા વહીવટી તંત્ર દ્વારા મતદાર યાદી પ્રમાણે ડેટા તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી હોવાનું જિલ્લા કલેકટર મકવાણાએ જણાવ્યું હતું. ભાવનગરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 5300ને પાર થઈ ચૂકી છે, દૈનિક ધોરણે સરેરાશ 20થી 25 પોઝિટિવ કેસ પ્રકાશમાં આવી રહ્યા છે, ત્યારે રસીકરણથી આશાવાદ જાગ્યો છે, કોરોના પોઝિટિવ કેસ વધવા સાથે ભાવનગરમાં રિકવરી પણ મળી રહી છે, પરંતુ કેટલાક કિસાઓમાં મૃત્યુની ઘટનાઓ પણ બની રહી છે, એક પણ બિમારી ન હોય અને કોરોનામાં મૃત્યુ પામ્યા હોય તેવા ભાવનગર જિલ્લામાં 69 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે.