અમદાવાદ-

બર્ડફ્લૂ રોગે ફરી એકવાર માથું ઉચક્યું છે. ગુજરાતમાં ૩૦મી જાન્યુઆરી ૨૦૨૧ સુધીમાં સરકારી ચોપડે બર્ડફ્લૂના કારણે ૮૨૮ મરઘાં, કાગડા સહિતનાં વિવિધ વિદેશી પક્ષીઓનાં મત થયા છે. પશુપાલન વિભાગે જ આ લેટેસ્ટ આંકડા હમણા બહાર પાડ્યા છે. ગુજરાત સહિત દેશના ૧૩ રાજ્યોમાં બર્ડફ્લૂ દેખાયો છે. બર્ડફ્લૂની સૌથી વધુ અસર હરિયાણામાં દેખાઈ છે. હરિયાણામાં ૨.૧૦ લાખ મરઘાના મોત થયા છે.

સરકારી રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં અત્યાર સુધીમાં ૨૩૮ મરઘાંના બર્ડફ્લૂના કારણે મોત થયા છે. આ ઉપરાંત ૫૯૦ કાગડા, પ્રવાસી પક્ષીઓનાં બર્ડફ્લૂથી મોત થયા છે. બર્ડફ્લૂના કારણે ગુજરાતમાં પોલ્ટ્રી ક્ષેત્રને અસર થઈ છે. સરકારી તંત્રનો દાવો છે કે, શિયાળામાં પ્રવાસી પક્ષીઓનું આગમન થતું હોય છે. જેના કારણે પહેલેથી જ મરઘા ફાર્મમાં નિગરાની સહિતના તાકીદે પગલાં લેવા એડવાઈઝરી જાહેર કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારની એડવાઈઝરી આધારે પગલાં લેવાનું શરૂ કરાયું છે. આ મહામારીને લઈ તપાસ માટે કેન્દ્રીય ટીમો વિવિધ રાજ્યોની મુલાકાતે પહોંચી છે. કેન્દ્રની ટીમે રાજ્યના પશુપાલન વિભાગ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી ચૂકી છે.