કમલમ પર ભાજપના નેતાઓ-આગેવાનો કોરોનાને ભૂલ્યા, ઢોલના તાલે ગરબે ઝૂમ્યા
10, નવેમ્બર 2020

ગાંધીનગર-

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાવવા જઈ રહ્યો છે. જેથી મોટી સંખ્યામાં કાર્યકરો ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ ખાતે ઉજવણી કરવામા માટે ઉમટી પડ્યા છે. આ ઉજવણીમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ કોરોના વાયરસને ભૂલી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે.

નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોની એસીતેસી કરીને ઉજવણી કરવામાં આવી રહી છે. કોરોના મહામારીમાં લોકોની સુરક્ષા માટે બનાવવામાં આવેલા નિયમોની ભાજપના કાર્યકરોએ એસીતેસી કરતા નજરે પડી રહ્યાં છે. કોરોના સંકટને કારણે સરકારે ગરબા પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ પેટાચૂંટણીના પરિણામમાં ભાજપ વિજય તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ખુદ ભાજપની મહિલા કાર્યકરો સહિત નેતાઓ ગરબા રમી ઉજવણી કરી રહ્યાં છે. ભાજપના નેતાઓ અને કાર્યકરો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે ગજની દુરીની સલાહ ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે. ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપના કાર્યકરો નિયમોની એસીતેસી કરીને ઢોલ નગારા વગાડીને ગરબા રમી રહ્યાં છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution