અમદાવાદ-

કેન્દ્રની મોદી સરકારે ખેડૂતો માટે પસાર કરેલા ત્રણ કાયદા વિરુદ્ધ દિલ્લી ખાતે જુદા જુદા ખેડૂત સંગઠનો વિરોધ કરી રહ્યા છે ત્યારે આ ખેડૂતોને કાયદા અંગે યોગ્ય માર્ગદર્શન અને જાણકારી મળે તે માટે ગુજરાત પ્રદેશ ભાજપ 10 સ્થળોએ કૃષિ સંમેલનો કરી ખેડૂતોને જાગૃત કરશે. કેન્દ્રની મોદી સરકાર દ્વારા દેશના ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્‍યને સાકાર કરવા માટે કૃષિ ક્ષેત્રે ઐતિહાસિક સુધારા કરવામાં આવ્યા છે. પરંતુ કેટલાક સત્તાના લાલચુ પક્ષો અને નેતાઓ આ કાયદા વિરૂદ્ધ અનેક અફવાઓ ફેલાવી ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ત્યારે દેશના તમામ ખેડૂતો સુધા આ કાયદાની સાચી માહિતી તેમજ લાભો પહોંચાડવા કેન્દ્રીય ભાજપે દેશમાં 700 પત્રકાર પરીષદો અને 700 સ્થાનો ઉપર કિસાન સંમેલન યોજવાનું નક્કી કર્યું છે. 

આ સંમેલનોમાં પ્રદેશ અગ્રણીઓ,સંસદસભ્ય, ધારાસભ્ય ઉપસ્થિત રહેશે. 17 ડિસેમ્બર એટલે કે, આજે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ બારડોલી ખાતે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પંચમહાલના મોરવા હડફ ખાતે, કેન્દ્રીય કૃષિપ્રધાન પરષોત્તમ રૂપાલા રાજકોટના પડધરીમાં સભા કરશે તો રાજ્ય કૃષિ પ્રધાન આર.સી.ફળદુ અમરેલીના સાવરકુંડલા અને ગોરધન ઝડફિયા બનાસકાંઠાના ડિસામાં કિસાન સંમેલનમાં ઉપસ્થિત રહીને કિસાન હિતકારી નિર્ણયોની માહિતી આપશે તો મુખ્યપ્રધાન વિજય રૂપાણી નવસારીના ચિખલીમાં સંમેલન યોજશે એટલું જ નહિં સીએમ રૂપાણી 19 ડિસેમ્બરના રોજ આણંદના કરમસદ ખાતે સંમેલન યોજી ખેડૂતોને આ કાયદાના ફાયદા સમજાવશે.