અરવલ્લી : હિંમતનગર શહેરના ટાઉન હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આવી રહેલી નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજયની તમામ ચૂંટણીઓ બહુમતીથી જીતવા તેમજ આગામી વિધાનસભાની ચૂંટણીમાં તમામ ૧૮ર બેઠકો પર વિજય મેળવવાનો ટાર્ગેટ સિધ્ધ કરવાનો શુભ સંકલ્પ વ્યક્ત કરી કાર્યકરોમાં જોમ જુસ્સો વધારી ચૂંટણી પૂર્વે પક્ષના સંગઠનને મજબૂત કરવા પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે સંગઠનની ધારને મજબૂત કરવા નારાજ અને રીસાઈ ગયેલા કાર્યકરોને મનાવી લેવાની આવશ્યક્તા જણાવી ર્મામિક ટકોર કરતા જણાવ્યું હતું કે, હોદ્દાથી વંચિત રહેલા સાબરકાંઠા જિલ્લા ભાજપમાં કોઈ દુખિયા છે ? જો હોય તો મને જણાવશો.પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કાર્યકરોની સેવાભાવનાને શક્તિઓને બિરદાવતા જણાવ્યું હતું કે, ભાજપનો એક એક કાર્યકર્તા લાગણીશીલ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૧૭મી સપ્ટેમ્બરના ૭૦મા જન્મ દિવસની ઉજવણીને સેવા સપ્તાહ સ્વરૂપે ઉજવવાની અપીલ કરી આ સપ્તાહ દરમિયાન વૃક્ષારોપણ, દિવ્યાંગ વ્યક્તિઓની જરૂરીયાતો પૂર્ણ કરવા, પ્રધાનમંત્રી વીમા કવચ અને સુકન્યા યોજનાનો પ્રચાર કરવા જણાવ્યું હતું.ભાજપના સંગઠનને મજબૂત કરવાર્થે પાટીલે કાર્યકરોનો જોમ જુસ્સો વધારતા જણાવ્યું હતું કે, કોઈપણ ચૂંટણી કાર્યકર્તાઓની મદદ વગર જીતી શકાતી નથી તેમણે કાર્યકરોને નિરાશ નહીં થવાની અપીલ સાથે કોઈના પ્રતિ ખોટી ફરીયાદો નહીં કરવા પણ જણાવ્યું હતું.