અમદાવાદ-

હાઇકોર્ટમાં ફાયર સેફ્ટીના મુદ્દે ચાલતી સુનવણીમાં કોર્ટે વારંવાર અમદાવાદ મ.ન.પા.ની ઝાટકણી કાઢી હતી. કોર્ટે મ.ન.પા.ને સ્પષ્ટ કહ્યું હતું કે, કોર્ટ કડક વલણ અપનાવે ત્યારે જ મ.ન.પા. કાર્યરત થાય છે. શાળાઓ સિવાય મ.ન.પા.એ અગાઉ હોસ્પિટલને પણ ક્લોઝર નોટિસ પાઠવી હતી. અગાઉ અમદાવાની શ્રેય હોસ્પિટલ અને ત્યાર બાદ ભરૂચની હોસ્પિટલમાં કોરોના સમયે આગ લાગતા નિર્દોષોના જીવ હોમાઈ ગયા હતા. જેને લઈ ગુજરાત હાઇકોર્ટમાં ફાયર સેફ્ટીને લઈને સુનવણી ચાલી રહી છે. આ સુનવણી દરમિયાન હાઇકોર્ટે મ.ન.પા.ને કડક કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. અમદાવાદમાં ફાયર સેફ્ટી ન હોય તેવી કુલ 122 શાળાઓને મ.ન.પા.ના ફાયર વિભાગે ક્લોઝર નોટિસ પાઠવી છે. 7 દિવસની અંદર આ શાળાઓએ ફાયર સેફ્ટી ઉભી કરવી પડશે, નહીં તો મ.ન.પા. આવા એકમો સામે કડક કાર્યવાહી કરી શકશે. અહીં ઉલ્લેખનીય છે કે, ગત શુક્રવારે પણ મ.ન.પા.એ 37 શાળાઓને ક્લોઝર નોટિસ પાઠવી હતી.