ગાંધીનગર-

વિજય રૂપાણીના દૃષ્ટિવંત નેતૃત્વમાં GIDCએ આ સંદર્ભમાં ચાર નિતી વિષયક યોજનાઓ જાહેર કરી છે. આ યોજનાઓનો અંદાજે રૂ. 500 કરોડનો સહાય-લાભ સમગ્રતયા GIDCના 50,000 થી વધું ઉદ્યોગોને મળશે. જે બાબતોનો આ યોજનાઓમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે મુજબ ઊદ્યોગકારોને આર્થિક પ્રોત્સાહન આપવા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે ઊદ્યોગકારોને ઉત્પાદન શરૂ કરવાની સમય મર્યાદા એટલે કે મોરેટોરિયમ પીરિયડ વધુ 1 વર્ષ વણવપરાશી દંડની રકમ લીધા વગર વધારી આપવામાં આવશે. તદઅનુસાર, જે ઊદ્યોગકારોને ઉત્પાદન શરૂ કરવાની સમય મર્યાદા 2021-22માં પૂર્ણ થતી હોય તેને વધુ વર્ષ વણવપરાશી દંડ વસુલ કર્યા સિવાય સમય મર્યાદા વધારી અપાશે.

આ નિર્ણયને પરિણામે ઊદ્યોગકારોને મિલકતનો વપરાશ કરવા માટે વધુ સમય મળી રહેશે અને દર વર્ષે વિતરણ કિંમતના 2 ટકા પ્રમાણે વણવપરાશી દંડની અંદાજે કુલ 16.70 કરોડની રકમ ભરવાથી છૂટછાટ મળશે. આ યોજનાનો અંદાજે 672 લાભાર્થીઓને લાભ મળવા પાત્ર થશે. એટલું જ નહીં, ઔદ્યોગિક વસાહતોના જે ફાળવણીદારો અગાઉની નિતી અંતર્ગત વપરાશની સમય મર્યાદા વધારાનો લાભ મેળવી શક્યા નથી તથા જેમને માર્ચ-2022 સુધી લાભ આપવામાં આવ્યો છે તેવા તમામ ફાળવણીદારોને માર્ચ 2023 સુધી વપરાશ સમયમર્યાદા વધારી આપવામાં આવશે. વધારેલ સમય મર્યાદામાં વપરાશ શરૂ કરવામાં આવશે તો આ નિતી અન્વયે અંદાજે 350 કરોડની રાહતનો આવા 1656 ઊદ્યોગકારોને લાભ મળશે.

GIDCના મેનેજિંગ ડિરેક્ટરશ્રીએ મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં લેવામાં આવેલા અન્ય નિતી વિષયક નિર્ણયોની વિસ્તૃત વિગતો આપતા કહ્યું કે, વિવિધ ઔદ્યોગિક વસાહત મંડળોએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ ફાળવણીદારો માટે નિયત કરાયેલો ભાવ વધારો આ વર્ષ માટે મોફૂફ રાખવાની રજૂઆતો કરી હતી. વિજય રૂપાણીએ આ રજૂઆતોનો પણ સંવેદનાપૂર્ણ પ્રતિસાદ આપતા નિર્ણય કર્યો છે કે, GIDCની ઔદ્યોગિક અને રહેણાંક વસાહતોના જમીન તથા બહુમાળી શેડોના ફાળવણીદારોને કોવીડ-૧૯ ની મહામારી તથા તે દરમ્યાન થયેલ લોકડાઉનની ઉદ્યોગો પર થઈ રહેલ વિપરીત્ત અસરોને પરિણામે આર્થિક બોજો ન પડે તે હેતુસર નિગમની વસાહતો માટે ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૧–૨૨ માટે નિયત કરેલ ભાવ વધારો આ વર્ષ માટે મોકુફ રાખીને ગત નાણાંકીય વર્ષ ૨૦૨૦–૨૧ના ફાળવણી દર નકકી કરવામાં આવ્યા છે. અંદાજીત રૂ. ૨૬ કરોડની રાહત આ નિર્ણયને પરિણાને ઊદ્યોગકારોને મળશે. તદઉપરાંત વધુ માંગ ધરાવતી સાયખા, સાયખા વુમન્સ પાર્ક, સાયખા એમ.એસ.એમ.ઈ. પાર્ક, દહેજ, હાલોલ અને હાલોલ (વિસ્તરણ) વસાહતનો વર્ષ ૨૦૨૧–૨૨ માટે નકકી કરેલ ભાવ વધારો થયાવત્ રાખવામાં આવ્યો છે. GIDC દ્વારા નવા કરવાના થતા બાંધકામ વિસ્તારના નકશા મંજુર કરતી વખતે સર્વિસ અને એમીનીટીઝ ફી પેટે પ્રતિ ચો. મી. રૂ .૫૦ વસુલ કરવામાં આવે છે. આ ૨કમને સંબંધિત વસાહતના કેન્દ્ર અને રાજય સરકારની યોજનાઓ હેઠળના કામો માટે મહત્તમ રૂ. ૨૫ પ્રતિ ચો.મી. એટલે કે ૫૦ % રકમ તથા નિગમ દ્વારા હાથ ધરવામાં આવનાર ખાસ જરૂરીયાતવાળા (Mandatory) કામો, ઊદ્યોગકારોની મિલ્કતોની માપણી, સર્વે, સ્થળ નિરીક્ષણ રિપોર્ટ, જરૂરીયાત મુજબ વસાહતની આંતરમાળખાકીય સુવિધા, પર્યાવરણ માટેના અભ્યાસ વગેરેની કામગીરી માટે રૂા.૨૫ પ્રતિ ચો.મી. એટલે કે ૫૦% ૨કમ વપરાશ કરવાની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ નીતિ અંતર્ગત ૧૩૮ વસાહતોને આશરે રૂ. ૭૧.૩૦ કરોડનો લાભ મળવા પાત્ર થશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા વર્ષ ૨૦૦૯-૨૦૧૯થી ઈન્ફ્રાસ્ટ્રકચર અપગ્રેડેશન ફંડની રચના કરવામાં આવેલી છે. તે અંતર્ગત વિવિધ વસાહતોમાં પ્રતિ ચો.મી. રૂ. ૫ લેખે વસુલાત કરી તે પૈકી રૂ.૩ નિગમે વસાહતોના નવીનીકરણના કામો માટે આપેલ ફાળા પેટે રાખવાના તથા રૂ .૨ જે તે ઔદ્યોગિક વસાહત મંડળોને વસાહતની નિભાવણી માટે ફાળવી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે, GIDC દ્વારા હાથ ધરવામાં આવેલા આવા પ્રોજેક્ટ્સમાં થયેલ ખર્ચ પેટે એસોસીએશનના ફાળાની વણવસુલાયેલ રકમ નિગમના વર્ષ ૨૦૧૦ના પરિપત્ર મુજબ વસુલ થયેલ "ઈન્ફ્રાસ્ટ્રકચર અપગ્રેડેશન ફંડ" પૈકી રૂ.૨ લેખે ઔદ્યોગિક વસાહત મંડળ, નોટીફાઈડ એરીયાને ફાળવવાની થતી ઉપલબ્ધ રકમમાંથી સરભર કરી બાકીની બચતની રકમ સંબંધિત ઔદ્યોગિક વસાહત મંડળ, નોટીફાઈડ એરીયાને નિભાવણી ફંડ પેટે ફાળવી આપવાની રહેશે. રૂ.૨ લેખે વસુલ કરેલ ૨કમમાંથી વસાહત મંડળના ફાળા પેટે અંદાજે રૂ.૩૩.૨૪ કરોડ સંબંધિત ૫૯ વસાહત મંડળને નિભાવણી ફંડ પેટે ફાળવવાનો અંદાજ છે. આમ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોવિડ-19થી ઉદભવેલી પ્રતિકુળ આર્થિક સ્થિતિનો સામનો કરી રહેલા રાજ્યના નાના-મોટા, લધુ-મધ્યમ ઉદ્યોગોને પૂન: બેઠા થઇ આર્થિક ગતિવિધિઓ પૂર્વવત કરવા દર્શાવેલી આ સંવેદના ઉદ્યોગો માટે પ્રોત્સાહક બનશે તેમ પણ શ્રી થેન્નારસને જણાવ્યું હતું.