ભાવનગર-

મધ્યપ્રદેશથી કામ કરવા ગુજરાત આવેલા અને તળાજાના ઇસોરા ગામે પાલીવાલ બ્રાહ્મણ ભરતભાઈ જાલેલાની વાડીમાં મજૂરીના ભાગથી વાડીમાં કામ કરતા મજૂરની પત્ની સાથે ભુવાએ વિધિના બહાને દુષ્કર્મ આચર્યાની ફરિયાદ તળાજા પોલીસ મથકમાં નોંધાવી છે.

તળાજાના ઇસોરાની વાડીમાં ભાગ્યું રાખી 3 વર્ષથી ખેત મજૂરી કરતો મધ્ય પ્રદેશના ગરીબ પરિવારનું નાનુ બાળક રાત્રીના સમયે રડીને ઝબકી જતો હોય તેની બાજુની વાડીમાં ભાગ્યું રાખીને કામ કરતા કોળી કાંતિ વિઠ્ઠલ શિયાળ નામના વ્યક્તિએ કહેલ કે હું માતાજીનો ભુવો છું અને બાળકને સારૂ કરી આપીશ. આમ કહી બાળકને એક દોરો કરી આપેલો અને જણાવેલુ કે બાળકને ભાવતી વસ્તુ તેને માથા પરથી ઉતારીને ચોકમાં મૂકી આવજો. જે મુજબ આ પરિવારે કર્યુ પણ હતું. આ વિધિ બાદ બાળકની તબિયત બગડી હતી. પીડિતાનો પતિ, બાળકો અને તેનો દિયર બહાર જતા ભુવાએ દોરાનું માપ લેવાના બહાને મહિલાને તેના કપડા ઉતારવવા કહ્યું હતું. બાદમાં ભુવા પણ નિવસ્ત્ર થયા અને મહિલા સાથે શારિરિક સંબંધ બાંધ્યો હતો. ભુવાએ મહિલાને આ બધું વિધિનો ભાગ હોવાનું કહ્યું હતું. તેમજ તેણે મહિલાને ધમકી આપી હતી કે જો તે આ અંગે કોઈને વાત કરશે તો તેને જાનથી મારી નાખશે. બાદમાં ભુવાએ મહિલાના પતિ, દિયર અને બાળકો ઝુંપડામાં અંદર બોલાવી વિધિ પુરી થઈ હોવાનું જણાવી તે ત્યાંથી જતો રહ્યો હતો. મહિલાએ આ સમગ્ર ઘટના અંગે તેના પતિને વાત કરી અને ત્યાર બાદ તરત જ આ અંગે તળાજા પોલીસ મથકમાં ભુવા કોળી કાંતિ શિયાળ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.