તિરુવનંતપુરમ્‌-

કેરળમાં ઝીકા વાયરસના પ્રથમ કેસની પુષ્ટિ થઇ છે. રાજ્યમાં અન્ય ૧૩ શંકાસ્પદ લોકોના નમૂના તપાસ માટે પુણેની નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીમાં મોકલવામાં આવ્યા છે.મચ્છર કરડવાથી થતી આ બીમારીથી ૨૪ વર્ષીય એક ગર્ભવતી મહિલા કેરળમાં સંક્રમિત થઇ છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીણા જાેર્જે આ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, તિરુવનંતપુરમાં આ વાયરસના ૧૩ શંકાસ્પદ કેસ મળ્યા છે. તેમણે કહ્યું કે, સરકાર પુણે સ્થિતિ એનઆઇવી પાસેથી રિપોર્ટની રાહ જાેઇ રહી છે.

સંક્રમિત મિહલા તિરુવનંતપુરમની છે. એક ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. તેણે સાત જુલાઇએ બાળકને જન્મ આપ્યો હતો. તેને તાવ, માથામાં દુખાવા અને શરીર પર લાલ નિશાન પડવાને લીધે ૨૮ જૂને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તપાસમાં તે ઝીકા વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઇ અને તેના નમૂનાને એનઆઇવીમાં મોકલવામાં આવ્યા છે.મહિલાની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, પરંતુ તેનું ઘર તમિલનાડુની બોર્ડર પર છે. એક સપ્તાહ પહેલાં તેની માતામાં આ પ્રકારના લક્ષણ જાેવા મળ્યા હતા. ઝીકા વાયરસથી સંક્રમિત થયાના લક્ષણ ડેન્ગ્યુ જેવા જ હોય છે. જેમ કે, તાવ આવવો, શરીર પર ચકામા પડવા અને સાંધામાં દુખાવો.

ઝીકા વાયરસ શું છે?

ડેન્ગ્યુ, મેલેરિયા, પીળો તાવ અને ચિકનગુનિયાની જેમ ઝીકા વાયરસ મચ્છરો દ્વારા ફેલાય છે. તે એડીસ મચ્છરનો એક પ્રકાર છે, જે દિવસ દરમિયાન સક્રિય રહે છે. જાે આ મચ્છર ચેપગ્રસ્ત વ્યક્તિને કરડે છે, જેનું લોહી વાયરસમાં છે, તો તે બીજા વ્યક્તિને કરડવાથી વાયરસ ફેલાવી શકે છે. મચ્છરો ઉપરાંત, અસુરક્ષિત શારીરિક સંપર્ક અને ચેપગ્રસ્ત લોહી ઝીકા તાવ અથવા વાયરસને પણ ફેલાવી શકે છે.