અમદાવાદ-

જ્યારે ઓક્સિજનની અછત શરુ થાય ત્યારે કોવિડ-૧૯ના દર્દીઓની સારવાર કરતી શહેરની હોસ્પિટલો માટે સમય સાથેની એક રેસ હોય છે. જ્યાં એક તરફ મોટાભાગની હોસ્પિટલોએ રિફિલ પ્લાન્ટ્‌સમાંથી ઓક્સિજન લાવવા માટે વાહનો ભાડે રાખ્યા છે, તો બીજી તરફ ડોક્ટરો આ કપરી સ્થિતિમાં એકબીજાની મદદ કરવા માટે પણ તૈયાર છે. એક ખાનગી હોસ્પિટલના ડોક્ટરેે જણાવ્યું હતું કે, હોસ્પિટલો ઘણીવાર એકબીજાની મદદ માટે આગળ આવે છે. તેમણે કહ્યું હતું કે, 'ગત મહિનામાં અમને ઘણીવાર ઓક્સિજનની જરૂર પડી હતી, ત્યારે અમે સંકટના સમયમાં અમારા સહયોગીઓનો સંપર્ક કર્યો હતો. સપ્લાયની વાત કરીએ તો, ૭૫ મેટ્રિક ટનની સરખામણીમાં, જે ગુજરાતમાં એક મહિના પહેલા ઉપયોગ થતો હતો, અત્યારે તે આંકડો વધીને ૧ હજાર મેટ્રિક ટન થયો છે. એટલે કે તેમાં ૧૩ ગણાનો વધારો થયો છે. 'જ્યાં ઉત્પાદન ૧૦૦થી ૨૦૦ મેટ્રિક ટન વધારવામાં આવ્યું છે, ત્યારે માગ પણ મોટા પ્રમાણમાં રહી છે', તેમ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું. કોવિડ-૧૯ના કેસની વાત કરીએ તો, એકલા અમદાવાદ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૫૧૪૨ કેસ નોંધાયા હતા. તેની સામે ડિસ્ચાર્જ થયેલા અને મૃત્યુ પામનાર દર્દીઓની કુલ સંખ્યા ૯૯૯ હતી. '

અંદાજ પ્રમાણે ઓક્સિજન બેડની જરૂરિયાતવાળા ૨૫ ટકા દર્દીઓની સામે આજે ૧ હજાર જેટલા બેડની જરૂરિયતવાળા માટે હશે', તેમ શહેરની એક હોસ્પિટલના માલિકે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, અમારી અડધી એનર્જી તો માત્ર સંસાધનોના સંચાલનમાં જતી રહે છે. એક હોસ્પિટલના અધિકારીએ કહ્યું હતું કે, ઓક્સિજનની અછતના કારણે ઘણીવાર અમારે બેડ ખાલી હોવા છતાં દર્દીઓને ના પાડવી પડે છે'. અન્ય એક મેડિકલ ક્ષેત્રે સંકળાયેલા નિષ્ણાત અધિકારીએ જણાવ્યું હતું કે, ઘણી ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન જીવન-મૃત્યુ વચ્ચેનો મામલો બની જાય છે. 'આજના સમયમાં દર્દીઓ માટે રેમડેસિવિર કરતાં ઓક્સિજન વધારે જરૂરી છે. કોવિડ-૧૯ના દર્દીઓની સારવાર કરી રહેલી ૮૫ ટકા જેટલી હોસ્પિટલો સંપૂર્ણ રીતે ઓક્સિજન સિલિન્ડર પર આધારિત છે.