લંડન-

બ્રિટનમાં કોરોના વાયરસના કેસોમાં અસાધારણ ઉછાળો આવતા વધુ એક વખત ખતરો ઉભો થયો છે. બ્રિટનમાં જાન્યુઆરી પછી સૌપ્રથમ વખત એક દિવસમાં કોરોનાના પોઝિટિવ કેસ ૫૦ હજારથી વધુ મળી આવ્યા છે. આ ઉપરાંત કોરોનાને લીધે ૨૪ કલાકમાં ૪૯ લોકોના મોત થયા છે. બ્રિટનમાં જે રીતે ફરીથી કોરોના બ્લાસ્ટ થયો છે તેને લઈને વધુ એક લોકડાઉનના ભણકારા વાગી રહ્યા છે.

આરોગ્ય વિભાગના મતે દેશમાં એક દિવસમાં ૫૧,૮૭૦ નવા કેરોનાના કેસ મળ્યા છે. એક સપ્તાહમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં ૪૫ ટકાનો ઉછાળો નોંધાયો છે. હોસ્પિટલોમાં પણ બેડ ફરીથી ભરાવા લાગ્યા છે. કોરોનાના કેસોમાં એકાએક આવેલા ઉછાળાથી હવે હોસ્પિટલમાં દાખલ થતા નવા દર્દીઓ તેમજ મૃતકોના આંકમાં વૃદ્ધિ જાેવા મળે છે. નિષ્ણાતોએ યુકેમાં વધી રહેલા કેસો પાછળ કોરોના પ્રતિબંધોમાં અપાયેલી છૂટછાટ તેમજ યુરો ૨૦૨૦ને જવાબદાર ગણાવ્યા છે.

અગાઉ ૧૫ જાન્યુઆરીના સૌથી વધુ ૫૫,૭૬૧ કેસ નોંધાયા હતા. બ્રિટનના આરોગ્ય મંત્રી સાજિદ જાવિદના મતે બ્રિટનમાં ૬૭ ટકા વયસ્ક લોકોને કોવિડ ૧૯ની વેક્સિનના બન્ને ડોઝ અપાયા છે. અમે અમારા લક્ષ્યન એક સપ્તાહમાં પૂર્ણ કરી લીધું છે. આ એક મોટી ઉપલબ્ધિ છે. રસી લેવા માટે આગળ આવેલા તમામ લોકોનો આભાર. પ્રવર્તમાન સમયમાં રસી જ કોરોના સામે કવચ પુરું પાડે છે. કોરોનાના ડેલ્ટા વેરિયન્ટનો પણ પ્રકોપ વધી રહ્યો હોવાનું કેટલાક આરોગ્ય નિષ્ણાતો માની રહ્યા છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડે જણાવ્યું કે કોરોનાના કેસો વધુ છે અને કેસમાં સતત ઉછાળો આવી રહ્યો છે પરંતુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી પડી રહી. આના પરથી સ્પષ્ટ થાય છે કે કોરોના વાયરના આ ખતરનાક વેરિયન્ટ સામે પણ રસી અસરકારક છે.