સુરત-

રાજ્યમાં જીવલેણ વાયરસનો કહેર યથાવત છે. કેટલાક દિવસોથી સુરત શહેરમાં મહામારીના કારણે સુરતમાં સતત કોરોનાના કેસો વધી રહ્યા છે. આમ કેસોમાં વધારો થતા વરાછા મીની બજાર અને હીરા ચોકસી બજાર ૩૧મી જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાની મહામારીના કારણે વરાછા,સહિત કતારગામ વિસ્તારમાં કેસ વધ્યા છે. તો સેફ વોલ્ટ બપોરના ૨થી ૬ સુધી ખુલ્લા રહેશે. ત્યારે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખ્યા બાદમાં પહેલી ઓગસ્ટથી શરૂ કરવા કે નહી તે અંગે નિર્ણય લેવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં કોરોના પોઝિટિવ કેસમાં નોંધપાત્ર વધારો થયો છે.

તેમાં પણ ખાસ કરીને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વરાછા તથા કતારગામ વિસ્તારના મહત્તમ લોકો સક્રમીત થયા હતા. જેને પગલે તકેદારીના ભાગ રૂપે તા. ૨૧ જુલાઈથી તા.૩૧ જુલાઈ સુધી વરાછા મિની બજાર અને ચોક્સી બજાર અને ત્યાં કાર્યરત સેફ્ટી ડિપોઝીટ વોલ્ટને બંધ રાખવાનો રવિવારે નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે જીજેઈપીસીના રિજીયોનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે રવિવારે માનગઢ ચોક-૧ના પ્રમુખ કે.કે તથા માનગઢ ચોક-૨ના પ્રમુખ વિનુ ડાભી સહિત ચોક્સી બજારના પ્રમુખ ભગવાનદાસ સાથે મિટીંગ કરી હતી. આવનારા દિવસોમાં ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વધુ લોકો સક્રમીત નહિ થાય તે હેતુથી તકેદારીના ભાગ રૂપે મીની બજારને સ્વૈચ્છિક બંધનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ બંધનું પાલન તા.૩૧મી જુલાઈ સુધી કરવામાં આવશે. જેમાં ચોક્સી બજાર અને માનગઢ વિસ્તારના સેઇફ વોલ્ટ્‌સ પણ બંધ રાખવામાં આવશે. તા. ૨૦ જુલાઈ તથા તા. ૨૪ જુલાઈના રોજ બપોરે ૨ થી ૬ દરમ્યાન સેઇફ વોલ્ટ્‌સ ખોલવામાં આવશે અને આ બે દિવસ દરમ્યાન વેપારીઓ જરૂરિયાત મુજબ પોતાનો કિંમતી સામાન કાઢી શકશે.