ભાવનગર

ભાવનગરના વલ્લભીપુરમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે પાણીજન્ય અને ઋતુજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. શહેરના વોર્ડ નંબર- ૨માં આવેલી ભરવાડ શેરીમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાને લઈને સ્થાનિકો ત્રસ્ત થઈ ગયા છે. માર્ગની વચ્ચોવચ ભરાયેલા પાણીના મોટા તલાવડાને કારણે નજીકમાં જ આવેલી કન્યાશાળાની વિદ્યાર્થીનીઓ અને આંગણવાડીના ભૂલકાઓ જાેખમી રીતે આ માર્ગ પસાર કરી રહ્યા છે. ઘણા સપ્તાહોથી ભરાયેલા વરસાદી પાણીને કારણે મચ્છરનો ઉપદ્રવ ફેલાતા આસપાસના રહેવાસીઓમાં ઘેર-ઘેર માંદગીના ખાટલા જાેવા મળી રહ્યા છે.માર્ગનું નવીનીકરણ થયું ત્યારે જ બે રસ્તા વચ્ચે યોગ્ય લેવલિંગના અભાવે આ સમસ્યા ઉદ્દભવી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન થતા સ્થાનિકો પર આવી પડેલી આફત સામે જાેવાની પાલિકા તંત્રને ફુરસદ નથી. વારંવારની રજૂઆતો બહેરા કાને અથડાઈને પાછી ફરતી હોવાનો બળાપો સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. સતત ભરાયેલા રહેતા પાણીને કારણે અકસ્માતનો ભય પણ વાહનચાલકો પર ઝળુંબી રહ્યો છે, ત્યારે જે વિસ્તારમાં ભાજપના ચાર-ચાર સદસ્યો ચૂંટાયા છે એ વિસ્તારની હાલત અત્યંત દયનિય બની છે.