દિલ્હી-

આજે નવી દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન તેમજ દેશના પુર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને તેમના પત્ની ગુરુશરણ કૌરે કોરોના રસી મુકાવી હતી.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે સવારે તેના માતા-પિતાની સાથે જઈને કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. કેજરીવાલની ઉંમર 60 વર્ષથી ઓછી છે પરંતુ તેઓ ડાયાબીટીસથી પીડિત હોવાથી રસી લગાવી તેમણે લોકનાયક જયપ્રકાશ નારાયણ હોસ્પીટલમાં રસી મુકાવી હતી. કેજરીવાલે જણાવ્યું હતું કે રસી મુકાવ્યા બાદ મને કોઈ મુશ્કેલી કે અસહજતા નહોતી લાગી. હું સૌને અપીલ કરું છું કે વેકસીન લગાવી લો.

આજે અન્ય એક રાજકીય મહાનુભાવ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને વસંત કુંજ સ્થિત ફોર્ટીસ હોસ્પીટલમાં કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. આ તકે નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે મારું એ સદભાગ્ય છે કે હું ભારતમાં છું કે જયાં પોષાય તેવા ભાવે ઝડપથી આ સુવિધા મળે છે.આ સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને દેશના પુર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અને તેમના પત્ની ગુરુશરણ કૌરે એઈમ્સ ખાતે કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.