24, ઓગ્સ્ટ 2020
રાજપીપળા : સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસ માધ્ય પ્રદેશના વિસ્તારમાં સારો વરસાદ વર્ષી રહ્યો છે.આના કારણે ડેમના ઉપરવાસ માંથી પાણીની આવક ૨,૧૮,૮૪૬ ક્યુસેક થતા નર્મદા બંધની સપાટીમાં દર કલાકે ૮ થી ૧૦ સેમીનો વધારો નોંધાઈ રહ્યો છે.રવિવારે સવારે ૮ કલાકે સપાટી - ૧૨૪.૬૨ મીટર સપાટી હતી જે ૮ કલાકમાં ૭૭ સે.મી વધી છે, એટલે ૫ વાગ્યાની સપાટી ૧૨૫.૩૯ મીટર પર પહોંચી છે.
જો સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આટલી આવક થતી રહેશે તો નર્મદા બંધ આગામી ૫ સપ્ટેમ્બર સુધી તેની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર પર પહોંચે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જોકે ૧૩૦ થી ૧૩૫ મીટર વચ્ચે જળસપાટી પહોંચતા નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા રિવરબેડ પાવર હાઉસ ચાલુ કરી દેવાશે એટલે સપાટીમાં ઉછાળો ઓછો થઇ જશે.પરંતુ હાલ પાણીની મોટી માત્રામાં આવક નર્મદા ડેમ માટે સારા સમાચાર કહી શકાય.
નર્મદા ડેમના ગેટ લાગ્યા બાદ ડેમને ૧૩૮.૬૮ મીટર સુધી ભરી શકાય એટલે તંત્ર આ પાણીની આવકને સંગ્રહ કરી રહી છે.હજુ પણ ૧૨૦૦ મેગાવોટ વીજ ક્ષમતાના રિવર બેડ પાવર હાઉસ બંધ રખાયું છે.જયારે સંતોષ કારક પાણીનો સંગ્રહ થઇ જશે એટલે એ રિવરબેડ ચાલુ કરી દેવામાં આવશે.
હાલમાં સરદાર સરોવર નર્મદા ડેમમાં લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો ૨૦૫૪.૯૪ મિલિયન ક્યુબિક મીટર છે. કેનાલ હેડ પાવર હાઉસના બે ટર્બાઇન ચલાવી ૩,૪૦૧ ક્યુસેક પાણી ખર્ચ કરી રહ્યા છે.જયારે કેનાલમાં ૨૦૨૩ ક્યુસેક છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ગુજરાતની જીવાદોરી છે.