કચ્છ, કચ્છમાં આ વર્ષે પડેલા સારા વરસાદ બાદ શિયાળુ પાક મબલખ પ્રમાણમાં લેવાની ઇચ્છાએ ખેડૂતો ડીએપી અને યુરિયા ખાતર ખરીદવા પડાપડી કરી રહ્યા છે પરંતુ અપૂરતા જથ્થાને લઈ જિલ્લામાં ખાતરની અછત કિશનો માટે હાલાકી સર્જી રહી છે. જેની સાક્ષી પૂરતા દ્રષ્યો રાપર તાલુકાના ખેંગારપર ગામથી સામે આવ્યા છે. જ્યાં આજ મંગળવારે સવારે ખાતર મેળવવા ખેડૂતોએ સહકારી મંડળી બહાર લાંબી કતારો લગાવવી પડી હતી. જાેકે મર્યાદિત જથ્થાને કારણે ટોકન પદ્ધતિ દ્વારા ખાતરનું વિતરણ કરવામાં આવ્યું હતું. અપૂરતા ખાતરના જથ્થાને લઈ ખેડૂતોમાં ક્યાંકને ક્યાંક નારાજગી પ્રવર્તી રહ્યાનું જાણવા મળ્યું હતું.

જગતનો તાત ખેડૂત ફરી એક વખત શિયાળુ પાકમાં ખેતી કરવા ખાતરની અછતને કારણે દુવિધામાં મુકાયો છે. શિયાળા દરમિયાન જીરું, વરિયાળી, રાયડો, અજમો, ઇસબગુલ સહિતના પાકની ખેતી કરવા ખેડૂત વર્ગે બિયારણ ખરીદ કરી લીધું છે પરંતુ યુરિયા અને બીએપી ખાતરની અછતથી હાલાકી ભોગવી રહ્યા છે. વિવિધ સહકારી મંડળીઓમાં મર્યાદિત જથ્થામાં ખાતર મળતું હોઇ ખેતી કાર્ય સમિતિ બની રહ્યું છે. રાપરના ખેંગારપરમાં સવારના ૮ થી ૯ વાગ્યા દરમ્યાન ૩૦૦ ખેડૂતોને ટોકન પદ્ધતિ દ્વારા ખાતર વિતરણ કરાયુ હતું. જ્યારે મોડા પડેલા ખેડૂતોને ખાલી હાથે પરત જાઉં પડ્યું હતું. આ અંગે કૃષિ ક્ષેત્રના જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું કે, સહકારી મંડળીઓને ખાતરનો જથ્થો પૂરો પાડતી સરદાર, કૃભકો અને ઇફકો જેવી કંપનીઓને સરકાર તરફથી અમુક ટકા ખેડૂતલક્ષી સબસીડી આપવામાં આવતી હોય છે.