વડોદરા, તા.૯ 

કોરોના કાળમાં કોરોનાના દર્દીઓને ત્વરીત તેની ગંભીરતા જાણી ઇમરજન્સી સારવાર મળી રહે તે માટે મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પીટલમાં કોરોના ટ્રાએજ વિભાગ શરૂ કરવાની હોસ્પિટલના સત્તાધીશો તથા વહીવટી નોડલ અધિકારી તબીબ દ્વારા ગતિવિધિઓ તેજ શરૂ કરવામાં આવી છે. અને ટૂંક સમયમાં ટ્રાએજનો પ્રારંભ કરવામાં આવશે.

ટ્રાએજનો પ્રારંભ હોસ્પિટલના કોવિડ સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે નીચે શરૂ કરવામાં આવી રહ્યો છે. અલબત્ત મધ્ય ગુજરાતનું સૌપ્રથમ કોરોના ટ્રાએજ શરૂ કરવા સયાજી હોસ્પિટલનું તંત્ર સજ્જ બન્યું છે. જેનો લાભ કોરોનાના દર્દીઓને મળશે.

ટ્રાએજ એટલે કે હોસ્પિટલમાં આવતા તમામ પ્રકારની ઇજાગ્રસ્તોને તેની ઇજાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ઇમરજન્સી સારવાર આપવામાં આવતી હોય છે. એ જ પ્રમાણે કોરોનાના આવતા દર્દીઓની ગંભીરતાના આધારે દર્દીની સારવારની પ્રાથમિકતા આપી ટ્રીટમેન્ટ કરવામાં આવશે તેમ સયાજી હોસ્પિટલના કોવિડ હોસ્પિટલના વહિવટી તબીબ અધિકારી ડો. બેલીમે જણાવ્યું હતું. તેમને વધુમાં જણાવ્યું હતું કે ટ્રાએજ વિભાગમાં કુલ ૨૨ બેડની સુવિધા ઉપલબ્ધ કરાય છે. જેમાં ૧૫ બેડ આઇ.સી.યુ. માટે ૭ બેડ નોન આઇસીયુ માટે ફાળવવામાં આવ્યા છે. તદ્‌ ઉપરાંત ચોવીસ કલાક એમ.બી.બી.એસ. ઇન્ટર્ન તબીબ હાજર રહી આરોગ્ય સેવાઓ આપશે. તેમ જાણવા મળ્યું છે.