જુનાગઢ-

આગામી જન્માષ્ટમીના તહેવારોને લઈને જૂનાગઢ એસટી નિગમ દ્વારા મહત્વનો ર્નિણય કરવામાં આવ્યો છે; જે અન્વયે આગામી સાતમ-આઠમના તહેવારો નિમિત્તે મુસાફરોની અવર-જવરને ધ્યાનમાં રાખીને, મુસાફરોને સવલત મળી રહે અને અગવડતા ન પડે તેવા હેતુથી જૂનાગઢ એસ.ટી.નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વિભાગીય નિયામક જી.ઓ.શાહએ જણાવ્યું કે; સાતમ-આઠમ જેવા તહેવારોમાં અનેક લોકો મુસાફરી કરતાં હોય છે, ત્યારે તેઓને અગવડતા ન પડે તે માટે આગામી તા.૨૯ અને ૩૦ ઓગષ્ટ સાતમ-આઠમના રોજ એક્સ્ટ્રા બસ દોડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેનું એડવાન્સ બુકિંગ પણ શરૂ કરી દેવાયું છે. જેનો મહત્તમ મુસાફરો લાભ લઈ રહ્યાં છે, ત્યારે હજુ પણ તહેવારોમાં મુસાફરોની અવરજવરને ધ્યાનમાં રાખીને એક્સ્ટ્રા બસ સર્વિસનું સંચાલન હાથ ધરાશે. તહેવારોને ધ્યાનમાં રાખીને ખાસ કરીને સોમનાથ થી જુનાગઢ, રાજકોટ, અમરેલી, પોરબંદરતેમજ જૂનાગઢ થી રાજકોટ, સોમનાથ, ભાવનગર, જામનગર, દ્વારકા, સારંગપુર, ઉનાજવા માટે એકસ્ટ્રા સર્વિસો મુસાફરની અવર જવર ને ધ્યાને લઈ દોડાવવામાં આવશે. આ ઉપરાંત જૂનાગઢ બસ સ્ટેશન ખાતે ૨૪ કલાક ઓનલાઇન બુકીંગની સેવા શરૂ કરવામાં આવશે.