ગાંધીનગર-

રાજયમાં થોડા દિવસો પહેલાં 9 થી 12 અને કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ હવે ઓગસ્ટના પ્રથમ વીકમાં ધોરણ 5 થી 8 ના વર્ગો શરૂ કરવામાં આવી શકે છે. તો બીજી તરફ ધોરણ 1 થી 5 બાળકો માટે દિવાળી પછી સ્કૂલો શરૂ કરવામાં આવી શકે છે.અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગોની શાળાઓમાં આગામી તારીખ 26 જુલાઈ 2021થી ફિઝિકલ-ભૌતિક શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવામાં આવ્યું છે. આ વર્ગો 50 ટકા ક્ષમતા સાથે ફરી શરૂ કર્યા છે. એટલું જ નહિ વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છે. શાળા વર્ગોમાં અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનું સંમતિપત્રક પણ લાવવાનું રહેશે.

આ સાથે ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ પણ યથાવત ચાલુ રાખવામાં આવશે તેવો નિર્ણય પણ મુખ્યમંત્રીએ કોર કમિટીમાં કર્યો છે. ધોરણ 9 થી 11 ના વર્ગો આગામી 26 જુલાઈ 2021 થી શાળાઓમાં શરૂ થાય ત્યારે કોરોના સંક્રમણ નિયંત્રણની ગાઈડલાઈન્સ- SOPનું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગે સુનિશ્ચિત કરાવવાનું રહેશે. રાજ્ય સરકારે આ અગાઉ તારીખ 9 જુલાઈથી ઉચ્ચત્તર માધ્યમિક ધોરણ 12ના વર્ગો તેમજ ડિપ્લોમા-ડિગ્રીના કોલેજ વર્ગો 50 ટકા કેપેસિટીથી શરૂ કરાવેલા છે.