ગુજરાતના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
27, જુન 2020

અમદાવાદ,

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલમાં જ એનસીપીમાંથી છેડો ફાડી અને તમામ પદો પરથી રાજીનામું આપનારા શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મળતી માહિતી મુજબ શંકરસિંહ વાઘેલાને છેલ્લા 3 દિવસથી તાવ આવી રહ્યો હતો. જેના કારણે તેમનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા રાજકીય વર્તુળોમાં પણ હડકંપ મચી ગયો છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ શંકરસિંહ વાઘેલા હોમ ક્વોરન્ટાઇન થયા છે. તેમને કોઇ મોટા લક્ષણ નહી હોવાનાં કારણે તેમને હોમ આઇસોલેટ થવા માટેની આરોગ્ય તંત્ર દ્વારા મંજુરી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા સમયથી કોરોનાએ રાજકીય પક્ષ અને રાજકીય નેતાઓને ટાર્ગેટ કર્યો છે. ત્યારે હવે અન્ય એક ગુજરાતના કદાવર નેતા પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જોકે હાલ શંકરસિંહ વાઘેલા હોમ ક્વોરન્ટાઇન થયા છે.



© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution