ગાંધીનગર, વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં સક્રિય બની ગઈ છે. વિધાનસભા ચૂંટણી અગાઉ ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો પડ્યો છે. રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટીમાં જાેડાયા છે. ઈન્દ્રનીલ રાજ્યગુરુ રાજકોટ કોંગ્રેસના મોટા ગજાના નેતા છે. આ સાથે રાજકોટના કોર્પોરેટર વસરામ સાગઠિયા પણ કોંગ્રેસ છોડીને ‘આપ’માં જાેડાયા છે. આમ, સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસમાં મોટું ગાબડું પાડ્યુ છે. કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસથી નારાજ હતા. પક્ષ દ્વારા તેમની નારાજગી દૂર કરવામાં આવતી ન હતી. ત્યારે કોંગ્રેસ પક્ષથી નારાજ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ તેમજ રાજકોટના કોર્પોરેટર વસરામ સાગઠિયાએ આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું, એટલું જ નહીં આ બંને નેતાઓ આમ આદમી પાર્ટીમાં જાેડાઈ ગયા છે. ગઇકાલે ઇન્દ્રનીલ રાજ્યગુરુ દિલ્હી ગયા હતા, જ્યાં તેમણે અરવિંદ કેજરીવાલ સાથે બેઠક પણ કરી હતી. ત્યારબાદ આજે વિધિવત રીતે બંને નેતાઓ આમ આદમી પાર્ટીમાં જાેડાયા છે. ઈન્દ્રનીલે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ‘આપ’માં જાેડાતા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. તો બીજી તરફ, વસરામ સાગઠિયા રાજકોટ મનપાના વિરોધ પક્ષના નેતા છે. ત્યારે હવે આ બે દિગ્ગજ નેતાઓની રાહે રાજકોટના કોંગ્રેસના અન્ય કોર્પોરેટર પણ ‘આપ’માં જાેડાય તેવી શક્યતાઓ વધી ગઈ છે. ‘આપ’માં જાેડાયા બાદ ઇન્દ્રનીલ રાજગુરુએ જણાવ્યુ હતું કે, વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ ‘આમ આદમી પાર્ટી’ કરી શકે છે. કટ્ટર ઇન્સાનિયત, કટ્ટર નિયત, આમ આદમી પાર્ટીની નિયતમાં કોઈ ખોટ નથી એવું પંજાબ અને દિલ્હી રાજ્યની જીતે પુરવાર કરી દીધું છે. ત્યાં અધિકારીઓ પૈસા લેતા બીવે છે, જે આપણે ગુજરાતમાં નથી જાેઈ શકતા. તે વાત પંજાબમાં થોડા જ દિવસોએ કરી બતાવ્યું છે. વિધાનસભામાં ડોક્ટરોની ખામીઓ વિશે મેં પ્રશ્ન કર્યો ત્યારે નીતિન પટેલે મને કહ્યું કે ડોક્ટર મળતા નથી. ત્યાં ભાજપની નીતિ જ ખોટી છે. આજે હું સૌ ભાજપ કોંગ્રેસના કાર્યકરોને, ગુજરાતના આમ લોકોને, જે કોઈ મારામાં વિશ્વાસ રાખતા હોય તેમને હું આમ આદમી પાર્ટીમાં જાેડાય તેવી વિનંતી કરું છું.

તો વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, પુષ્કળ મહેનત કરવા છતાં પણ લોકો કોંગ્રેસને મત આપવાના નથી તેવું મન બનાવીને બેઠા છે. ‘આપ’ રાજકોટમાં પહેલી વખત ચૂંટણી લડી છતાં બીજા નંબરની પાર્ટી રહી. તેમની શિક્ષણનીતિ અમે જાેઈ છે. રાજકોટ અને ગુજરાતમાં શિક્ષણમાં ખૂબ મોટો ફેર છે. એમના વિચારો રાષ્ટ્રવાદી છે, તેમના વિચારો બધાને સાથે લઈને ચાલનારા છે.

પ્રદેશના કારણે કોઈ પક્ષ ન છોડે તે અમારી જવાબદારી  ઠાકોર

 રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસનાં અગ્રણી ઇંદ્રનિલ રાજ્યગુરુએ કોંગ્રેસ છોડીને આજે આમ આદમી પાર્ટીમાં જાેડાયા હતા. ત્યારે તેમણે પક્ષના નેતૃત્વ સામે આક્ષેપો કર્યા હતા. જે અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પ્રતિક્રિયા આપી હતી. જેમાં ઠાકોરે જણાવ્યું હતું કે, પ્રદેશ નેતૃત્વના કારણે કોઈ પક્ષ ન છોડે તે અમારી જવાબદારી છે. પરંતુ કોઈએ પહેલાથી નક્કી કર્યું હોય તેને અમે રોકી શકતા નથી. સૌરાષ્ટ્ર કોંગ્રેસનાં અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનિલ રાજ્યગુરૂના રાજીનામાં અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમાં ઠાકોરે જણાવ્યું હતું કે, ઈન્દ્રનિલને જ્યાં જાેઈએ ત્યાંથી વિધાનસભાની ટિકિટ આપી હતી. તેમના ટેકેદારોને પણ મનગમતા હોદ્દાઓ આપ્યા હતા. આ અગાઉ નારાજગી સમયે પ્રભારીની મધ્યસ્થી બાદ માંગે એ ઓર્ડર તેમને અપાયા હતા. જગદીશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, પ્રદેશ નેતૃત્વના કારણે કોઈ પક્ષ ન છોડે એની જવાબદારી અમારી છે. પરંતુ જે લોકોએ પહેલાથી જ નક્કી કર્યું હોય તેમને અમે રોકી શકતા નથી. ઈન્દ્રનિલને આપવામાં કોંગ્રેસ પક્ષે શું બાકી રાખ્યું હતું? ઈંદ્રનિલને કોંગ્રેસે ઉપપ્રમુખ, ભાવનગર લોકસભાના પ્રભારી તેમજ વિધાનસભાની ટિકિટ પણ આપી હતી.