દુબઇ
41 વર્ષીય ગેલને પંજાબે શરૂઆતથી બેન્ચ પર બેસાડી રાખ્યો હતો. 2 મેચ પહેલા કોચ અનિલ કુંબલે કહ્યું હતું, "ગેલ આજની મેચ રમવાનો હતો, પરંતુ તબિયત ખરાબ હોવાથી રમી શક્યો નહીં." ચલો તેણે 2 મેચ ખરાબ તબિયતને કારણે મિસ કરી પરંતુ તે પહેલા તેને ટીમમાં સ્થાન કેમ ન મળ્યું? જ્યારે કરો યા મરોની સ્થિતિમાં પહોંચ્યા ત્યારે ગેલ કેમ યાદ આવ્યો? ગેલે ગઈકાલે 45 બોલની ઇનિંગ્સ દરમિયાન 1 ફોર અને 5 સિક્સની મદદથી 53 રન કર્યા. તે ટીમને 1 રનની જરૂર હતી, ત્યારે રનઆઉટ થયો હતો.
ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે પણ મેચ પછી ટ્વીટ કરીને પૂછ્યું કે, કિંગ્સ ઇલેવન પંજાબે શું વિચારીને ગેલને બહાર બેસાડી રાખ્યો હતો? સચિને પોતાની ટ્વીટમાં લખ્યું કે, ગેલને મેદાન પર પરત ફરી શાનદાર 53 રન ફટકારતા જોઈને આંનંદ થયો. જોકે, મને એ ખબર નથી પડતી કે, પંજાબે શું વિચારીને તેને બહાર બેસાડી રાખ્યો હતો.
મેચ પછી પંજાબના કેપ્ટન રાહુલે કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી ગેલની તબિયત સારી નહોતી. 41 વર્ષે પણ તેનામાં રન કરવાની એવી જ ભૂખ છે. ગેલ પહેલી ગેમથી જ રમવા માંગતો હતો. તેને બહાર બેસાડી રાખવાનો નિર્ણય અઘરો હતો. સિંહને ભૂખ્યો રાખવો જરૂરી છે. એ કોઈપણ ક્રમે રમે ખતરનાક જ છે.
પંજાબના 8 મેચમાં 4 પોઈન્ટ્સ છે. બાકીની 6માંથી 5 મેચ જીતે તો તે 14 પોઈન્ટ્સ સાથે નેટ રનરેટના આધારે ક્વોલિફાય કરી શકે છે. જ્યારે બધી મેચ જીતવા પર ચોક્કસ ક્વોલિફાય થઇ જશે.
Loading ...