ગોધરા એસીબી દ્વારા જી૫ીસીબી ના અધિકારી સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ
27, જુન 2020

ગોધરા,તા.૨૬ 

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં પોતાની ફરજ દરમ્યાન પ્રદુષણો અટકાવવાના બદલે પ્રદુષણોના ખૂલ્લેઆમ સોદાઓ કરવાના ઉઘરાણાઓમાં માહેર એવા કલાસવન લાંચિયા અધિકારી ગીરીજાશંકર મોહનભાઇ સાધુ સામે ગોધરા સ્થત એ.સી.બી.કચેરીમાં ૬૮ લાખ રૂપિયાની અપ્રમાણસર મિલકતો સંદર્ભમાં ગુનો દાખલ કરવામાં આવતા જી.પી.સી.બી.ને ભ્રષ્ટ્રાચારનો અખાડો બનાવનારા લાંચિયા અધિકારીઓમાં જબરદસ્ત ભય પ્રસરી જવા પામ્યો છે.

ગોધરા ખાતે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં પ્રાદેશીક અધિકારી તરીકે પોતાની ફરજાના સત્તાકાળ દરમીયાન ગીરજાશંકર સાધુએ પ્રદુષણને નિયંત્રણમાં રાખવાના બદલે પ્રદુષણ ફેલાવવાના ખૂલ્લેઆમ ભ્રષ્ટ્રાચારના સોદાઓ કરવાના વહીવટમાં તેઓ હંમેશા બહુચર્ચીત બન્યા હતા. શુક્રવારે એ.સી.બી.શાખાએ આ લાંચીયા અધિકારી સામે વધુ એક અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધીને કાયદાના સકંજાને મજબુત બનાવ્યો છે. અત્યારે ગાંધીનગર ખાતે જી.પી.સી.બી.માં પર્યાવરણ ઇજનેર વર્ગ-૧ ના હોદ્દા સાથે ફરજ બજાવતા ગીરજાશંકર સાધુ જયારે પંચમહાલ જિલ્લામાં પ્રાદેશીક અધિકારી તરીકે ફરજ બજાવતા હતા.

ત્યારે ડી.મીનરલાઇઝ વોટર પ્લાન્ટ શરૂ કરવા માંગતા એક સંચાલક પાસેથી એન.ઓ.સી.આપવા માટે ૬૦ હજાર રૂપિયા અને દર ત્રણ મહીને વિઝીટી દરમ્યાન હેરાન ગતી નહીં કરવા માટે ૪૦ હજાર એમ ૧.૨૦ લાખ રૂપિયાના લાંચના છટકામાં ગોધરા એ.સી.બી.શાખાએ ગીરજાશંકર સાધુને છટકામાં ઝડપી પાડીને ગુનો દાખલ કરતા જી.પી.સી.બી.માં ભારે ચકચાર પ્રસરી જવા

પામી હતી.

જી.પી.સી.બી.ના કલાસવન અધિકારી ગીરજાશંકર સાધુ સામે પોતાની ફરજ દરમ્યાન પગાર ભથ્થાની આવક સામે તેઓએ વસાવેલ મિલકતો સંદર્ભમાં વડોદરા એ.સી.બી.ઝોનના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે.વાય.વ્યાસે હાથ ધરેલ ઝીણવટપૂર્વકની તપાસના ૧-૪-૨૦૧૧ થી ૩૧-૩-૨૦૧૭ સુધીના એક પિરીયડની હાથ ધરેલ તપાસમાં જી.પી.સી.બી.ના આ લાંચિયા અધિકારી ગીરજાશંકર સાધુએ આવકની સામે ૬૮,૨૪,૩૫૭ રૂ.ની બેનામી સંપત્તિઓ વસાવી હોવાના સંદર્ભમાં ગોધરા એ.સી.બી.એ ભ્રષ્ટ્રાચાર નિવારણ અધિનીયમની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આ ગુનાની તપાસ એ.સી.બી.પી.આઇ.આર.આર.દેસાઇને સુપ્રત કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution