જૂનાગઢ-

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે ખાનગી કૃષિલક્ષી કાર્યક્રમમાં એક દિવસ માટે જૂનાગઢ પહોંચ્યા હતા. તેમની જૂનાગઢ મુલાકાતના પ્રથમ તબક્કામાં તેઓ રોપ-વેથી અંબાજી પર્વત પર જવાના હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે રાજ્યપાલ રોપ-વેથી અંબાજી પર્વત પર જઈ શક્યા નહતા. આમ, રાજ્યપાલે આજે દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. કૃષિલક્ષી ખાનગી કાર્યક્રમમાં રાજ્યપાલે ખેડૂતો અને કૃષિ તજજ્ઞો સાથે ખેતી અંગે ચર્ચા કરી હતી. આ પહેલા રાજ્યપાલની જૂનાગઢ મુલાકાતના પ્રથમ તબક્કામાં સવારે 11 વાગ્યે રોપ-વેની મુલાકાતે આવ્યા હતા, પરંતુ પ્રતિકૂળ હવામાન તેમ જ ગિરનાર પર્વત પર ફૂંકાઈ રહેલા અતિભારે પવનના કારણે રાજ્યપાલ અને પરિવારના સભ્યો રોપ-વેની સફર કરીને ગિરનાર પર્વત પર બિરાજતાં મા અંબાજીના દર્શન નહતા કરી શક્યા.

રાજ્યપાલની રોપ-વે મુલાકાત સફળ રહ્યા બાદ તેમણે ઉપરકોટ કિલ્લામાં ચાલી રહેલા સમારકામ સ્થળની મુલાકાત લીધી હતી. અહીં તેમણે કામ કરી રહેલા એન્જિનિયર સાથે ઉપરકોટના પ્રાચીન સ્થાપત્યો અને સમારકામ કામ દરમિયાન બહાર આવેલા કેટલાક અતિપૌરાણિક સ્થળો વિશે માહિતી પ્રાપ્ત કરીને ચાલી રહેલા સમારકામની વિગતો ઈજનેરો પાસેથી મેળવી હતી ત્યારબાદ બપોરે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની પણ મુલાકાત લીધી હતી. ત્યારબાદ રાજ્યપાલે જિલ્લા કલેકટર કચેરી ખાતે કેન્દ્રિય પ્રધાન દ્વારા આયોજિત વીડિયો કોન્ફરન્સના કાર્યક્રમમાં હાજરી આપી હતી.