અમદાવાદ-

બાળલગ્ન કરાવવાના કિસ્સામાં ગુજરાત હાઈકોર્ટે બંને બાળકોના માતા પિતાને 30 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઓગસ્ટ માસમાં સાસરીયાના ઘરે ગયેલી 11 વર્ષિય પત્નીએ તેના પતિ સામે મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધવાની ફરિયાદ જામનગરના સિક્કા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી. આ ફરિયાદ રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ત્યારે હાઈકોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, બંને બાળકોના વાલીને તેમના બાળકોનું બાળપણ બરબાદ કરવા માટે ફટકારવામાં આવ્યો છે. ફરિયાદ રદ કરવાની અરજી કરવામાં આવી હતી. જેના પગલે બંને પક્ષો વચ્ચે સમાધાન થયુ હતુ. હાઈકોર્ટે ફરિયાદ રદ કરતા અવલોકન કર્યુ હતુ કે, કેસમાં સમાધાન થયું અને બંને પરિવારો વચ્ચે વધુ સ્થિતિ ન બગડે તેમજ અરજદાર પતિ અને પત્ની સારી રીતે જીવન ગુજારી શકે તેને ધ્યાનમાં રાખીને ફરિયાદ અને તેનાથી થતી કાર્યવાહી રદ કરવામાં આવે છે. કોર્ટે નોંધ્યું હતુ કે, બાળકોનું નાનપણ બરબાદ કરવા બદલ બંનેના માતા-પિતાને દંડ ફટકારવામાં આવે છે. આ દંડ હાઈકોર્ટની રજીસ્ટ્રી સમક્ષ જમા કરાવવાનો આદેશ કર્યો હતો. ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, તેમનાં લગ્ન 7મી ફેબ્રુઆરી 2015નાં રોજ કરાવવામાં આવ્યાં હતાં. 2016માં જ્યારે તેના સાસરિયા ઘરે ગઈ ત્યારે તેના પતિએ તેની મરજી વિરૂદ્ધ બળજબરી શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ બનાવ વખતે પત્નીની ઉંમર 11 વર્ષ અને પતિની ઉંમર 17 વર્ષ હતી. સગીર વયની પત્ની દ્વારા નોંધવામાં આવેલી FIR રદ કરાવવા માટે અરજદાર પતિ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કવોશિંગ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેના ચુકાદા રૂપે આજે ફરિયાદ રદ કરવામાં આવી હતી. બંનેના માતાપિતાને 30 હજારનો દંડ ભરવાનો આદેશ કર્યો છે.