ગાંધીનગર-

ગુજરાતના મંગુભાઈ છગનભાઈ પટેલ મધ્યપ્રદેશના 19માં ગવર્નર નિમાયા છે. ગુજરાતના આ ત્રીજા નેતા છે કે જેઓ રાજ્યપાલ બન્યાં છે. આ પહેલાં કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા હતાં. તેમજ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને હવે મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ બન્યાં છે. દક્ષિણ ગુજરાતમાં ભાજપના આદિવાસી નેતા તરીકે જાણીતા એવા મંગુભાઈ પટેલ ભાજપના સંનિષ્ઠ નેતા રહ્યાં છે તેમ જ લગભગ બધે જ તેમની ખ્યાતિ નખશીખ સજ્જન વ્યક્તિ તરીકેની છે. નવસારીમાંથી આ બીજા નેતા છે જેઓ રાજ્યપાલ પદ સંભાળશે. આ અગાઉ કોંગ્રેસના જમાનામાં કુમુદબહેન જોશી હતાં જેઓ પણ રાજ્યપાલ બન્યાં હતાં. કુમુદબહેન આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે પદભાર સંભાળ્યો હતો.