દિલ્હી-

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકી મળી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ મંગળવારે સીઆરપીએફની મુંબઈ ઓફિસમાં ઈમેઈલ દ્વારા ધમકી મળી છે. મેલમાં ધાર્મિક સ્થળ જેવી કોઈ જગ્યાએ હુમલાની વાત કરાઈ છે. સીઆરપીએફ મુખ્યાલયમાં એક ધમકીભર્યો ઈમેઈલ આવ્યા બાદ હડકંપ મચ્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ગણતંત્ર દિવસે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. તેમની સાથે દેશના પીએમ નરેન્દ્ર મોદી, સરધણા વિધાયક સંગીત સોમ સહિત અનેક મોટા નેતાઓને મારવાની વાત પણ પત્રમાં લખવામાં આવી હતી. આ વર્ષે જાન્યુઆરીમાં પણ યુપીના સીએમ યોગી આદિત્યનાથને મેસેજ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ડાયલ ૧૧૨ના વોટ્‌સએપ નંબર પર મેસેજમાં કહેવાયું હતું કે ૨૪ કલાકમાં મારી નાખીશું, શોધી શકતા હોવ તો શોધી લો, એકે ૪૭થી ૨૪ કલાકની અંદર મારી નાખીશ. પોલીસે તપાસ કર્યા બાદ આરોપીને આગ્રાથી પકડ્યો હ તો. મેસેજ મોકલનારો કિશોર હતો. ત્યારબાદ તેની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવાયો.