ગાંધીનગર

રાજય સરકારે 10 વર્ષ બાદ જંત્રીદર માં જંગી વધારો કરવાનો નિર્ણય કરી લીધો હોવાનું જાણવા મળે છે, વિધાનસભાનું વર્તમાન સત્ર પૂર્ણ થયા બાદ તરત જ આ દિશામાં પ્રક્રિયા શરૂ થવાના નિર્દેશ છે.જંત્રી ના દરમાં વધારો થતાં રિઅલ એસ્ટેટ ક્ષેત્રે પણ ભાવ વધારો થશે.

ગુજરાત સરકારના અત્યંત આધારભુત સુત્રોએ કહ્યું છે કે પ્રોપર્ટી જંત્રીદરમાં વધારો કરવાનું ફાઈનલ કરી દેવામાં આવ્યું છે અને આવતા મહિનામાં પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. રાજયમાં 10 વર્ષથી જંત્રીદરમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. એટલે હવે નવા નાણાંકીય વર્ષમાં વધુ એક વખત તે મુલત્વી રાખવાનાં મુડમાં સરકાર નથી અને હવે વહેલીતકે જંત્રીદરમાં વધારો કરવાનું નકકી કરી લીધુ છે.

સુત્રોએ એમ કહ્યું છે કે 10-10 વર્ષથી જંત્રીદરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હોવાના કારણોસર રાજય સરકારને પણ અનેકવિધ મુશ્કેલીઓ પડી રહી છે. ખાસ કરીને જમીન સંપાદનમાં મોટો અવરોધ આવે છે. સંપાદન કરવાની થતી જમીનના જંત્રીદર કરતા બજાર ભાવ ઘણો ઉંચો હોય છે. એટલે જમીન માલીક સરકારને જંત્રીદરે જમીન આપવા તૈયાર થતા નથી. ઘણો વિખવાદ થાય છે આ ઉપરાંત પણ સરકાર જંત્રીદર વધારવા માંગે છે. આ ઉપરાંત જંત્રી દરનો મુદ્દો તાજેતરમાં કોર્ટમાં પણ પહોંચ્યો હતો. અદાલતે પણ નોંધ લીધી હતી અને સરકારને પણ જવાબ આપવો પડયો હતો.

સુત્રોના કહેવા પ્રમાણે જંત્રીદર વધારવાનાં સરકારના નિર્ણયને મોકુફ રખાવવા કે મામુલી વધારા માટે રીયલ એસ્ટેટ દ્વારા દબાણ કરવામાં આવે તેવી શક્યતા છે પણ સરકાર આ વખતે ઝુકવા કે બીલ્ડરોની વાત માનવામાં મૂડમાં નથી. 100 ટકા સુધી જંત્રીદર વધી શકે છે. અર્થાત જંત્રીદર ડબલ થઈ શકે છે.વિધાનસભાના સત્ર બાદ રાજય સરકારની પ્રાયોરીટીમાં આ પ્રક્રિયા હશે. સરકારે દોઢ વર્ષ અગાઉ સર્વે કરાવ્યો હતો. તેમાં થોડા ઘણા ફેરફારો સાથે નવા જંત્રીદર લાગુ પાડવામાં આવે તેવી શકયતા છે.